ગુજરાતમાં કોરોના બીમારીનો હાહાકાર યથાવત્

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ હજી પણ કાળો કહેર વર્તાવી રહ્યો છે. આ આપત્તિ ક્યાં જઈને અટકશે તે અંગે ખરેખર ચિંતા વ્યાપ્ત છે. પરંતુ આપણે ગુજરાતીઓને આપણા વડવાઓએ શીખવાડ્યું છે કે નબળો સમય હોય ત્યારે તેને શાંતિથી પસાર કરી દેવો. એક વાત પૂર્ણતઃ સમજવી જ પડશે કે જો અત્યારે નહીમ સાચવીએ અને કારણવગર બહાર નીકળીશું તો પછી આવનારા કેટલાય વર્ષો સુધી આપણે અને આપણા પરિવાર તેમજ સમાજને ભોગવવું પડશે. એટલે દરેક વ્યક્તિએ સમજી અને ઘરમાં રહીને એક મોટું યોગદાન આપવાની જરુર છે. અમદાવાદમાં ગઈકાલે સાંજે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર, કોરોનાના 441 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 49નાં મોત અને 186 દર્દી રિકવર થઇ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 368 લોકોનાં મોત અને 1381 લોકો રિકવર થઇ ચૂક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. છેલ્લા 72 કલાકમાં 106 દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં સૌથી વધુ કેસ મંગળવારના દિવસે જ નોંધાયા હતા. 441 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 349 કેસ, વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટ 1, ભાવનગર 2, ગાંધીનગર 2, પાટણ 2, પંચમહાલ 4, બનાસકાંઠા 10, મહેસાણા 8, ખેડા 4, સાબરકાંઠા 4, અરવલ્લી 2, મહીસાગર 4, જૂનાગઢમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.