ગણપત યુનિવર્સિટીમાં ‘પ્રતિભા,’ ‘પ્રોત્સાહન’ ઉત્સવની ઉજવણી

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલા ‘પ્રતિભા-2022’ અને ‘પ્રોત્સાહન-2022’ –નામના બે રાષ્ટ્રીય ઉત્સવોના ઉદઘાટન પ્રસંગે ખાસ મહેમાન હિતેન્દ્ર અખાણીએ વિદ્યાર્થીઓને સફળતા વિશે મહત્ત્વની શીખ આપી હતી. યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષે ઊજવાતા આ ઉત્સવોમાં દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. ‘પ્રતિભા’ એ રાષ્ટ્રીય સ્તરનો સમર પ્રોજેક્ટ કોમ્પિટિશનનો મહોત્સવ છે, જેમાં ચાર રાજ્યોની 31 સંસ્થાઓએ ભાગ લીધો હતો અને રૂ. 35,000 જેવી રકમનાં ઇનામો વિદ્યાર્થીઓ જીત્યા હતા. આ સાથે રાષ્ટ્રીય સ્તરના મેનેજમેન્ટ અને કલ્ચરલ ઉત્સવ ‘પ્રોત્સાહન’માં 12 જેટલાં રાજ્યોની મેનેજમેન્ટ સંસ્થાઓના 222 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ ઉત્સવોમાં વિદ્યાર્થીઓ દ્વારા વૈચારિક આદાન-પ્રદાન તેમ જ વિવિધ પ્રવત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પ્રતિભા ઉત્સવ’માં બેસ્ટ સ્કિલ્સ એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા તો ‘પ્રોત્સાહન’માં બિઝનેસ પ્લાન, બિઝનેસ ક્વિઝ, માર્કેટિંગ માઇન્ડ, પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન, ટાઇમ મેનેજમેન્ટ ગેમ અને સ્ટેજ પર્ફોર્મન્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં.

‘પ્રતિભા’ અને ‘પ્રોત્સાહન’ ઉત્સવોમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ અમેરિકાથી ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા, લિંકન ફાર્માસ્યુટિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ (ટેક્નિકલ) લક્ષ્મીકાંત હરસોલા, HDFC બેન્કના ક્લસ્ટર-હેડ અને રિટેલ બ્રાન્ચ બેન્કિંગના વાઇસ પ્રેસિડેન્ટ હિતેન્દ્ર અખાણી સહિત અનેક આચાર્યો અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

‘પ્રતિભા’ અને ‘પ્રોત્સાહન’ ઉત્સવની ઉજવણીને અંતે વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યાં હતાં. આ ઉત્સવોનું કો-ઓર્ડિનેશન પ્રો. રાજેશકુમાર કિરી, અમિત શુક્લએ, પ્રો. નિકિતા પટેલ અને યોગી અગ્રાવતે  કર્યું હતું.