ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા ગત શુક્રવારથી દેવ ગ્રુપના 15 સ્થળ પર દરોડા પાડ્યા છે. આ તપાસમાં અંતે દેવ ગ્રુપે સ્વીકાર્યું કે કંપનીએ 150 કરોડના બિનહિસાબી વ્યવહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી છે. તેમજ રૂ. 2.45 કરોડનું 3 કિલો સોનું ઝડપાયું છે. આ ઉપરાંત 50 લાખ રોકડા અને રૂ. 50 લાખના દાગીના મળીને એક કરોડનો મુદ્દા માલ થોડા કલાકોમાં જ મળી આવ્યો છે. આવકવેરા અધિકારીઓ અંદાજે 16 લૉકર સીલ કર્યા છે. કંપનીએ કરેલા રૂ. 150 કરોડ સુધીના રોકાણની વિગતો પણ બહાર આવી છે.
અમદાવાદ, જામનગર, માળીયા અને મિયાણાના મળીને દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે.એન્ટરપ્રાઈસ, અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૃપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસને આવરે લેવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી છે. કંપનીએ તેના હિસાબોમાં અંદાજે 25થી 30 કરોડના ખોટા ખર્ચાઓ બતાવીને પણ આવકવેરાની ચોરી કરી હોવાના દસ્તાવેજો પુરાવાઓ દરોડા પાડનારા અધિકારીઓએ શોધી કાઢ્યા છે.
દેવ ગ્રુપ નજીવી કિંમત ચૂકવીને 30 વર્ષે કે તેનાથી વધુ વર્ષના ભાડાં પટ્ટે જમીન લે છે. પરંતુ બે ચાર વરસે લાખો રૂયિયાના ભાવ વસૂલીને લીઝ પર લીધેલી જમીન વેચીને પણ મોટી આવક કરતી હોવાનું આાવકવેરાના દરોડામાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીઓ વેરો બચાવવા માટે કરોડોના મૂલ્યના વગર બિલના વેચાણ કર્યા હોવાનું પણ ઈન્કમટેક્સ દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવ્યું છે. કંપનીએ સોલ્યમાંથી લિક્વિડ બ્રોમાઈન બનાવીને ઔદ્યોગિક વપરાશકારોને વગર બિલે વેચાણ કર્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે. રોકડની આવકો અને રોકડના ખર્ચ મોટે પાયે કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. દેવ ગ્રુપના પ્રમોટર્સ બિલ વિના કરવામાં આવતા સોલ્ટના વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)