જમાતીઓના કારણે ગુજરાતને મોટું નુકસાનઃ રાજ્યમાં 144 કેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસો ખરેખર એક મોટી ચિંતાજનક બાબત છે. આજે સમગ્ર દેશમાં લોકડાઉનનો 13 મો દિવસ છે. પરંતુ કેસો સતત વધી રહ્યા છે. તબલિગી જમાતીઓના કારણે પણ ગુજરાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવું કહી શકાય. અમદાવાદમાં આજે કોરોના વાયરસના વધુ 4 પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો 144 પર પહોંચી ગયો છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિએ રવિએ આજે કોરોનાના દર્દીઓ વિશે જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. દિલ્હીમાંથી જમાતીઓ વિવિધ રાજ્યોમાં ફર્યા છે. ગુજરાત હાલ જમાતીઓની સજા ભોગવી રહ્યું છે, જેમના કારણે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. તેમણે જણાવ્યું કે, જમાતીઓએ ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે.

ગુજરાતમાં કોરોનાના વધુ 16 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે. જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ 12885 લોકો હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. પરંતુ હવે કોરોના પોઝિટીવના કેસ ગીચ વિસ્તારોમાં તેની સંખ્યા વધતી જાય છે. અમદાવાદમાં નવા 11 પૈકી 10 કેસ મુસ્લિમ કમ્યુનિટીના હોવાનું તેમને ભારપૂર્વક જણાવ્યું હતું. જ્યારે મહેસાણામાં નવા નોંધાયેલા કેસમાં તબલીગી જમાતનું કનેક્શન નીકળ્યું છે. રાજ્યના હજુ 39 દર્દીઓના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.

આજે અમદાવાદમાં નવા 11 પોઝિટીવ કેસો સામે આવ્યા છે, જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવો કેસ નોંધાયો છે. ગુજરાતમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.