મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે ફ્લાવર શો 2024’નું ઉદઘાટન

અમદાવાદઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રીશ્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ના મુખ્ય આકર્ષણોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં, અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી-જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.

આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારનાં 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવાં અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે.

આ ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ ઉદઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર  જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.