ડાકોર મંદિરમાં પ્રસાદના લાડુ વિવાદ પર અમૂલે આપી સ્પષ્ટતા

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના વિવાદ બાદ રાજ્યના ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતાં લાડુ પર પણ ગંભીર સવાલ ઉઠ્યા હતા. જેમાં સેવક આશિષ નામના ફેસબુક પેજ પરથી દાવો કરાયો હતો કે, ડાકોરમાં જામખંભાળિયાના ઘીને બદલીને પ્રસાદમાં અમૂલનું ઘી વાપરવાથી પ્રસાદના લાડુ જલ્દી બગડી જાય છે. આ મામલે મંદિરના અધ્યક્ષ બાદ હવે અમૂલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. અમૂલ દ્વારા આ વ્યક્તિ પર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.

અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમારા પર લગાવેલા આક્ષેપોને વખોડવામાં આવે છે. અને ગંભીરતાથી જણાવીએ છીએ કેસ અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપ સહન નહીં કરાય. કારણ કે, આ 36 લાખ પશુપાલકોની વિશ્વની નંબર 1 ખાદ્ય બ્રાન્ડ છે, જેના સર્વેની જીવિકા આધારિત છે. અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. દૂધની ખરીદી કર્યા બાદ ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચકાસણી કરાયા બાદ આ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં તેનું ઘી તૈયાર કરવામાં આવે છે, જે ભારતના એફ.એસ.એસ.આઇના ધોરણો પ્રમાણે છે. ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમૂલ ઘી ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ માંગ ધરાવે છે.’ આ સાથે જ અમૂલના ચેરમેન ડૉ. અમીત વ્યાસે આશિષ સેવક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કહી હતી.

થોડા દિવસ પહેલાં આશિષ સેવક નામના ફેસબુક પેજ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે, ‘પહેલા ડાકોર મંદિરમાં જામખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું ન હતું. અત્યારના ઘીથી લાડુમાં ચાર-પાંચ દિવસમાં જ વાસ આવવા માંડે છે અને લાડુ વળતા પણ નથી.’ જો કે, આ અંગે ડાકોર મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પરિન્દુ ભગતે સ્પષ્ટતા કરી હતી કે, ‘મંદિરના પ્રસાદમાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરાય છે. ઘઉંનો લોટ જે મધ્ય પ્રદેશથી મંગાવાય છે. સાકરમાં કોઈ ભેળસેળ થાય નહીં. ઘીનો પ્રશ્ન મારા આવ્યા પછી થતો નથી કારણ કે, અમે અમૂલ ઘીનો જ ઉપયોગ કરીએ છીએ. ઘીના જથ્થાનો એનડીડીબીનો રિપોર્ટ હોય છે, જેથી ડાકોર મંદિરના પ્રસાદમાં ભેળસેળનો સવાલ જ નથી.