ચોમાસાને લઈ AMC તૈયાર, 7 ઝોનમાં 24 કંટ્રોલ રૂમ શરૂ

રાજ્ય સહિત દેશમાં ધીમી ગતિએ ચોમાસુ પ્રસરી રહ્યું છે. ચોમાસુ આવતાની સાથે જ પાણી ભરવાની સમસ્યા થતી હોય છે. શહેરમાં ચોમાસા દરમિયાન ઉપસ્થિત થનારી પરિસ્થિતને પહોંચી વળવા માટે તંત્ર સજજ બન્યું છે. AMC એ શહેરના સાત ઝોનમાં કંટ્રોલ રૂમમાં શરૂ કર્યા છે. જ્યા તમે વરસાદથી થતી સમસ્યાની ફરિયાદ ફોનથી કરી શકાશે. અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોન્સુન પ્લાન અંતર્ગત મેયર પ્રતિભાબહેન જૈનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ચોમાસા દરમિયાન ઉભી થતી પરિસ્થિતિઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ચોમાસાના આગમનને લઈને AMCની પ્રી-મોન્સૂન પ્લાન રિવ્યુ બેઠક મળી હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પ્રિ-મોન્સુન કામીગીરી પર થયેલી કામગીરી અને બાકી રહેલ કામગીરી પર ચર્ચા કરવામાં આવી.

અમદાવાદના 7 ઝોનમાં મળી 24 કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં 27 સ્થળોએ રેઇન ગેજ મુકવામાં આવ્યા છે. ઝોન મુજબ વોટ્સએપ મારફતે ફરિયાદ નોંધાવી શકાશે. વોટસઅપના નંબર માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે. આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોની ટીમ સ્ટેન્ડબાય રહેશે. વરસાદી પાણી ભરાવાના 130 સ્થળોની ઓળખ કરી જરૂરી કામગીરી કરવામાં આવી છે. શહેરભરમાં પથરાયેલા 2385 cctv નેટવર્ક થકી પાણી ભરાવવાની સ્થિતિ પર નજર રખાશે. શહેરના 21 અંડરપાસ cctv દ્વારા નજર રાખવામાં આવશે.

સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે 23 અને પૂર્વ છેડે 18 ડિસ્ચાર્જ પોઇન્ટ નક્કી કરાયા છે. ખારીકટ કેનાલમાં પાણી નિકાલ માટે 67 સંપ બનાવવામાં આવ્યા છે. 113 પંપ દ્વારા પાણી નિકાલ કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલ માટે 35 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન અને 87 પંપ ગોઠવવામાં આવ્યા છે. બગીચા ખાતા દ્વારા તમામ જરૂરી સાધનો અને 9 વૃક્ષ ટ્રિમિંગ વાન સ્ટેન્ડબાય રાખવાનું આયોજન છે. તળાવમાં મહત્તમ પાણી આવે એવું આયોજન છે. એએમસી હદમાં પૂર્વ પશ્ચિમ તરફ ભેળવાયેલા વિસ્તારોમાં 10 કિમીની સ્ટોર્મવોટર લાઈન નાખવામાં આવી છે.