ગુજરાતઃ દોઢ લાખ લોકો હોટસ્પોટ ક્વોરન્ટાઈનમાં

અમદાવાદઃ  ગુજરાતમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાને જોતા અમદાવાદ સહિત 5 મોટા શહેરોમાં આશરે દોઢ લાખ જેટલા લોકોને હોટસ્પોટ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં એસઆરપીની ટીમો તેનાત કરી દેવામાં આવી છે અને એનસીસી અને એનએસએસના 4 હજાર સ્વયં સેવકોની મદદ લેવામાં આવશે. ગુજરાતમાં કોવિડન 19 વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 175 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 14 જેટલી થઈ ગઈ છે. મંગળવારના રોજ કોરોનાને લઈને સૂરતમાં બે લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિએ જણાવ્યું કે, અમદાવાદ, સૂરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં કોરોના સંક્રમણ પર અંકુશ લગાવવા માટે કેટલાક વિસ્તારોને હોટ સ્પોટ ક્વોરન્ટાઈન કરીને તેમની દેખરેખ માટે મેડિકલ અને પોલીસની ટીમો તેનાત કરવામાં આવી છે. કાલુપુર, દાણીલીમડા, જમાલપુર સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં એસઆરપીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. આમાં આશરે એક લાખ 55,000 થી વધારે લોકોનો સમાવેશ થાય છે. હોટ સ્પોર કરવામાં આવ્યા બાદ આ વિસ્તારોમાં સેનેટાઈઝ, ટેસ્ટ્સ, કડક પણે લોકડાઉન, કડક ક્વોરન્ટાઈન જેવી કાર્યવાહી થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં કોરોના વિરુદ્ધ ઝુંબેશમાં સેવા આપતા કોઈપણ વ્યક્તિનું  મોત થાય તો તેમને 25 લાખ રુપિયાનું વળતર આપવામાં આવશે. પહેલા સરકારે મેડિકલ અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે આ જાહેરાત કરી હતી.