જેતલપુર: ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપેલા પાંચમા ધામ એવા જેતલપુરધામમાં રેવતી-બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે.

આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને તેજેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રામાં તથા ભાવી આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ પદે આ મહોત્સવ ૧૧ માર્ચ સુધી ઉજવાશે.

પ્રથમ દિવસ: ધર્મ અને રાષ્ટ્રભક્તિનો સંગમ
મહોત્સવના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, RSS સરસંઘચાલક મોહન ભાગવત અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોહન ભાગવતે કહ્યું, “જે કાર્ય સંઘ 100 વર્ષથી કરી રહ્યો છે, તે જ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય ૨૦૦ વર્ષથી કરી રહ્યો છે.” તેમણે સમરસતા અને વ્યસનમુક્તિના કાર્યોને બિરદાવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું, જ્યારે આચાર્ય મહારાજે સંપ્રદાય અને સંઘના કાર્યોને અખંડ ભારત અને વિશ્વ શાંતિ માટે પૂરક ગણાવ્યા હતા.

બીજો દિવસ: કલા અને સાહિત્યના રત્નોનું સન્માન
મહોત્સવના બીજા દિવસે વિવિધ ક્ષેત્રના પદ્મશ્રી સન્માનિત મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક ભીખુદાન ગઢવી, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, સાહિત્યકાર રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ, રતિલાલ બોરીસાગર, વિષ્ણુ પંડ્યા સહિતના મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા.


આ સાથે કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી તીર્થરાજ ત્રિપાઠીજી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે, જે આગામી 11 માર્ચ- પાટોત્સવ સુધી ચાલશે.




