દરેક ભારતીયએ ‘કશ્મીર-ફાઈલ્સ’ ફિલ્મ જોવી જોઈએઃ આમિરખાન

નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એસ.એસ. રાજમૌલીની આગામી નવી ફિલ્મ ‘RRR’ માટે ગઈ કાલે અત્રે ચાહકો માટે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પણ ભાગ લીધો હતો. એમાં તેણે કહ્યું હતું કે, ‘દરેક ભારતીયએ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ, કારણ કે એ ભારતીય ઈતિહાસનો એક એવો હિસ્સો છે જેનાથી તમામનાં દિલને ઠેસ પહોંચી છે.’ આમિરે કહ્યું કે, ‘જે કશ્મીરમાં થયું, કશ્મીરી પંડિતોની સાથે થયું એ ખરેખર બહુ જ દુઃખની વાત છે. એ વિષય પર એવી જે એક ફિલ્મ બની છે તે ખરેખર દરેક હિન્દુસ્તાનીએ જોવી જોઈએ અને દરેક હિન્દુસ્તાનીએ યાદ કરવું જોઈએ કે કશ્મીરી પંડિતો સાથે બન્યું હતું એ બહુ જ દુઃખદ હતું. આ ફિલ્મે માનવતામાં માનનાર તમામ લોકોની લાગણીને સ્પર્શ કર્યો છે. હું આ ફિલ્મ ચોક્કસ જોઈશ. આ ફિલ્મે સફળતા હાંસલ કરી છે એનાથી હું ખુશ થયો છું.’

વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ગઈ 11 માર્ચથી દેશભરમાં રિલીઝ થઈ છે અને ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા કલાકારો છે.