આઝાદીથી અત્યાર સુધીમાં કોણ કોણ રહયા દિલ્હીના મુખ્યમંત્રી?

નવી દિલ્હીઃ આમ તો દિલ્હીને રાજ્યનો દરજ્જો બહુ મોડો મળ્યો અને દાયકાઓ સુધી દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ રહયું છે. છેક ડીસેમ્બર, 1993 માં દિલ્હીને રાજ્યનો દરજજો મળ્યો અને વિધાનસભા પણ મળી. પરંતુ મોટાભાગના લોકો કદાચ નહીં જાણતા હોય કે, આઝાદી પછી શરૂઆતમાં દિલ્હીમાં મુખ્યમંત્રી હતા!

આ દષ્ટિએ દેશ જ્યારથી આઝાદ થયો એ પછી દિલ્હીએ સાત મુખ્ય પ્રધાનો જોયા છેઃ

ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ

દિલ્હીના સૌપ્રથમ મુખ્ય પ્રધાન કોંગ્રેસ પક્ષના ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ હતા, તેમણે  17 માર્ચ, 1952થી 12 ફેબ્રુઆરી, 1955 સુધી સત્તા સંભાળી હતી. તેમણે બે વર્ષ 332 દિવસ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા.

ગુરુમુખ નિહાલ સિંહ

દિલ્હીના બીજા મુખ્ય પ્રધાન પણ કોંગ્રેસના જ હતા. તેમનું નામ ગુરુમુખ નિહાલ સિંહ હતું, તેમને કાર્યકાળ 13 ફેબ્રુઆરી, 1955થી 31 ઓક્ટોબર, 1956નો હતો. તેમણે એક વર્ષ અને 261 દિવસ મુખ્ય પ્રધાનપદે હતા.

મદનલાલ ખુરાના

દિલ્હીના ત્રીજા મુખ્ય પ્રધાન ભાજપના મદનલાલ ખુરાના હતા. તેઓ બીજી ડિસેમ્બર, 1993થી 26 ફેબ્રુઆરી, 1996 સુધી મુખ્ય પ્રધાનપદે હતા. તેમનો કાર્યકાળ બે વર્ષ અને 86 દિવસનો હતો.

સાહિબ સિંહ વર્મા

દિલ્હીના ચોથા મુખ્ય પ્રધાનપદે ભાજપના સાહિબ સિંહ વર્મા બિરાજમાન હતા. તેમણે 27, ફેબ્રુઆરી, 1996થી 12 ઓક્ટોબર,1998 સુધી શાસનની ધુરા સંભાળી હતી. તેઓ બે  વર્ષ અને 227 દિવસ સુધી મુખ્ય પ્ધાનપદે રહ્યા હતા.

સુષમા સ્વરાજ

દિલ્હીના પાંચમાં મુખ્ય પ્રધાનપદે ભાજપનાં સુષમા સ્વરાજ બિરાજમાન હતા. તેમનો કાર્યકાળ 13 ઓક્ટોબર, 1998થી ત્રીજી ડિસેમ્બર, 1998 હતો, જે માત્ર 51 દિવસનો જ હતો.

શીલા દીક્ષિત

દિલ્હીના છઠ્ઠા મુખ્ય પ્રધાનપદે કોંગ્રેસનાં શીલા દીક્ષિત હતાં. તેમનો કાર્યકાળ ચોથી ડિસેમ્બર, 1998થી 27 ડિસેમ્બર,2103 સુધીનો હતો. તેમણે 15 વર્ષ અને 24 દિવસ સુધી દિલ્હી પર શાસન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના સાતમા મુખ્ય પ્રધાન આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે. તેમણે 28 ડિસેમ્બર, 2013થી 14 ફેબ્રુઆરી 2014 સુધી શાસન કર્યું હતું. ત્યારે તેમણે માત્ર 49 દિવસ સરકાર ચલાવી હતી. તેમણે બીજી વાર પાંચ વર્ષ અને 45 દિવસ મુખ્યપ્રધાનપદે રહ્યા હતા. એ પછી હવે તેઓ સતત ત્રીજી વાર મુખ્ય પ્રધાનપદ બનશે.