સાત વિલીનીકરણ બેન્કોના ચેકબુકના નિયમો 1-એપ્રિલથી બદલાશે

નવી દિલ્હીઃ બેન્કોના ગ્રાહકો સાત વિલીનીકરણ બેન્કો માટેના નિયમોમાં ફેરફારને ધ્યાનમાં રાખે. આ બેન્કોમાં ચેકબુકના નિયમોમાં પહેલી એપ્રિલથી ફેરફાર થશે, જેથી આ સાત બેન્કોના ગ્રાહકો ખાસ ધ્યાન રાખે. પહેલી એપ્રિલ, 2019થી દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર થયું છે. ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું પંજાબ બેન્કમાં વિલીનીકરણ થયું છે. સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં મર્જર થયું છે અને અલાહાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્કમાં વિલીનીકરણ થયું છે.  પહેલી એપ્રિલ, 2021થી અનેક બેન્કના એકાઉન્ટહોલ્ડરોની ચેકબુક અને પાસબુક અમાન્ય થશે, કારણ કે ઘણી બેન્કો સંપૂર્ણપણે મર્જ થઈ જશે. આ બેન્કો એવી છે, જેમની અન્ય બેન્કોમાં મર્જર એક એપ્રિલ,2019 અને એક એપ્રિલ,2020 દરમ્યાન થયું છે, જેમાં સાત બેન્કો સામેલ છે. આ મર્જર પછી આ બેન્કોની ચેક બુક્સ અને પાસબુકો રદ થશે અને મર્જરની બેન્કની ચેકબુક અને પાસબુક કાયદેસરની ગણાશે.

આ સાત બેન્કોમાંથી કોઈ પણ બેન્કમાં એકાઉન્ટ હશે તો આ બેન્કના ગ્રાહકે ઝડપથી નવી ચેકબુક મેળવી લેવી પડશે અને IFSC કોડ તપાસવો પડશે.

નવા નિયમો પહેલી એપ્રિલથી લાગુ થશે અને વિલીનીકરણને કારણે એકાઉન્ટ નંબર, IFSC કોડ, MICR કોડ અને બ્રાન્ચનું સરનામું પણ બદલાશે.