NSE કો-લોકેશન કેસઃ NSE પર રૂ. 100 કરોડનો દંડ

મુંબઈઃ શેરબજારમાં ગયા વર્ષનો સૌથી ચર્ચિત અને હાઇ પ્રોફાઇલ કેસ NSE કો-લોકેશન કેસમાં સિક્યોરિટી એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)નો ઓર્ડર આવ્યો છે. આ ઓર્ડરમાં કો-લોકેશન મામલામાં NSEને મોટી રાહત મળી છે. SATએ રૂ. 625 કરોડની વસૂલાતનો આદેશ ફેરવીતોળ્યો છે. SATએ આદેશમાં કહ્યું હતું કે NSEએ કોઈ ગેરકાયદે લાભ નથી કમાયો, જેથી NSEને માત્ર રૂ. 100 કરોડનો દંડ ભરવાનો રહેશે. જોકે ટ્રિબ્યુનલે આ મામલે સેબીને તપાસનો આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ સેબીને NSE અધિકારીઓ અને શેરદલાલોની વચ્ચે સાઠગાંઠની તપાસ કરવાનો આદેશ મળ્યો છે.

SATએ આદેશમાં NSE ચેરમેન અને CEOને રાહત આપી છે. SATએ NSE ચેરમેન અને CEOની સેલરી અટકાવવાનો આદેશ ફગાવી દીધો હતો. એની સાથે NSE ચેરમેન અને CEO પર પ્રતિબંધ પણ ઘટાડવામાં આવ્યો છે. આ પહેલાં NSE પર રૂ. 625 કરોડના ડિસ્ગોર્જમેન્ટનો આદેશ આપવામાં આવ્યો હતો, પણ SATએ આદેશ ફગાવ્યો હતો. SATએ કહ્યું હતું કે NSEએ કો-લોકેશનમાં ગેરકાયદે લાભ નહોતો કમાવ્યો. જેથી રૂ. 625 કરોડના ડિસ્ગોર્જમેન્ટ વસૂલવો યોગ્ય નથી. 

NSEની આ ભૂલને પગલે NSE પર રૂ. 100 કરોડનો દંડ લગાવવામાં આવ્યો હતો. SATએ કહ્યું હતું કે લોડ બેલેન્સર નહીં લગાવવા માટે NSEને રૂ. 100 કરોડનો દંડ ભરવાના રહેશે. માર્કેટ નિયામકે રૂ. 100 કરોડ કાપીને બાકીની રકમ NSEને પરત કરવાની રહેશે.

બજાર નિયામક સેબીએ NSEના કો-લોકેશન કેસમાં ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ અને NSEના અન્ય અધિકારીઓ પર ગવર્નન્સથી જોડાયેલી ક્ષતિઓ અને નિમણૂકોમાં કોન્ટ્રેક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.