કર્મચારીઓને PF પર વધારે વ્યાજ મળશે; પ્રસ્તાવને કેન્દ્રએ મંજૂર રાખ્યો

નવી દિલ્હીઃ વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઈપીએફ – એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ) યોજના અંતર્ગત ડિપોઝીટો પર વ્યાજ દર 8.15 ટકા રાખવાના ઈપીએફઓ સંસ્થાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આજે મંજૂર રાખ્યો છે.

ગઈ 28 માર્ચે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ વર્ષ 2022-23 માટે ઈપીએફ ડિપોઝીટ્સ પર વ્યાજના દરમાં સહેજ વધારો કર્યો હતો અને તે 8.15 ટકા આપવાનો કેન્દ્રના શ્રમ મંત્રાલયને પ્રસ્તાવ આપ્યો હતો. પરંપરા મુજબ, શ્રમ મંત્રાલયે પ્રસ્તાવને નાણાં મંત્રાલયને મોકલ્યો હતો જેણે તે મંજૂર રાખ્યો છે. તેના આ નિર્ણયથી દેશભરમાં 6 કરોડથી વધારે ધારકોને લાભ થશે.