ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદત માટે બંધ

મુંબઈઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. કોરોનાના કેસો વધતાં વચ્ચે મુંબઈમાં સૌથી મોટા ડાયમન્ડ એક્સચેન્જ ભારત ડાયમન્ડ બુર્સે કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના આશરે 98 ટકા હીરાની નિકાસ કરતી મુંબઈ સ્થિત કંપનીએ પાંચ એપ્રિલે રાત્રે આઠ કલાકથી અચોક્કસ મુદત માટે કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ એક્સચેન્જની કામગીરી આગામી સૂચના સુધી બંધ રહેશે, એમ કંપનીએ તેના સભ્યોને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે.

રાજ્ય સરકારે કોરોના રોગચાળો રાજ્યમાં વકરતાં નિયંત્રણો જાહેર કર્યાં હતાં, જેને પગલે એક્સચેન્જે કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત ડાયમન્ડ બુર્સ બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં 20 એકરમાં ફેલાયેલું છે, જેમાં આશરે 2500 નાના અને મોટા હીરાના વેપારીઓ કામ કરે છે.

આ કોમ્પ્લેક્સમાં કસ્ટમ હાઉસ, બેન્કો અને અન્ય સર્વિસ પ્રોવાઇડરો પણ સેવા આપે છે, જે જેમ્સ અને જ્વેલરીને ટ્રેડની સાથે સંકળાયેલાઓને સર્વિસ પૂરી પાડે છે. જોકે કોમ્પ્લેક્સ ખાલી કરતાં પહેલાં સભ્યોને ચેકબુક, કીમતી સામાન, લેપટોપ અને જરૂરી દસ્તાવેજ લઈ જવા માટે કહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સભ્યોને વિનંતી કરવામાં આવી છે કે સુરક્ષા-વ્યવસ્થાના ભાગરૂપે અલાર્મ સિસ્ટમે કાર્યરત રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 96,563 નવા કેસો નોંધાયા છે, જેમાં મુંબઈમાં 9,879 કોરોનાના કેસો નોંધાયા છે.