પ્રી-કોવિડ વખતની વિમાન સેવા ટૂંક સમયમાં જ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે દેશમાં વિમાન પ્રવાસ કોરોના વાઈરસ રોગચાળા પૂર્વે જે સ્થિતિમાં હતો એ જ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષના આરંભમાં ફરી શરૂ કરી શકવાની ધારણા છે.

પીટીઆઈ સમાચાર સંસ્થાએ પુરીને એવું કહેતા ટાંક્યા છે કે, મને વિશ્વાસ છે કે આપણે આ વર્ષના અંત સુધીમાં અથવા ત્યારબાદ તરત જ એટલે કે 2021ના આરંભના એકાદ-બે અઠવાડિયામાં આપણે પ્રી-કોવિડ સ્તરે હતી એ વિમાન સેવાઓ ફરી શરૂ કરી શકીશું.

પુરીએ કહ્યું કે અમે દિવાળી તહેવારના બે-ત્રણ દિવસ પહેલા જ ક્રમબદ્ધ રીતે 2.25 લાખ લોકોને વિમાન પ્રવાસ ઉપલબ્ધ કરાવ્યો હતો. આપણે અત્યાર સુધીમાં 70 ટકા જેટલી વિમાન સેવા પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ અને 31 ડિસેમ્બર સુધીમાં અથવા 2021ના આરંભના એકાદ-બે અઠવાડિયામાં જ પૂરી 100 ટકા સેવા ફરી શરૂ કરી શકીશું એવો મને વિશ્વાસ છે, પણ એ માટે આપણે હાલના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આપણે એમાં સક્ષમ છીએ.