2021માં એર ઈન્ડિયાની ખોટ રૂ.10,000-કરોડ થવાની સંભાવના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયા વર્તમાન નાણાકીય વર્ષ 2021માં રૂ. 10 હજાર કરોડની ખોટ નોંધાવે એવી સંભાવના છે. જો તેમ થશે તો એના ડિસઈન્વેસ્ટમેન્ટની યોજનાને ગંભીર ફટકો પડી શકે છે, કારણ કે આ સંભવિત ખોટને કારણે એનું વેલ્યૂએશન ઘટી જશે. ઈકોનોમિક ટાઈમ્સ અખબારે એક નામવિહોણા સિનિયર સરકારી અધિકારીને એમ કહેતા ટાંક્યા છે કે એર ઈન્ડિયા આ વર્ષમાં જે ખોટ કરશે એમાં રૂ. 8000 કરોડ કેશ લોસ હશે જ્યારે બાકીની રકમ ડેપ્રીસિએશન સ્વરૂપની હશે.

2007માં ઈન્ડિયન એરલાઈન્સનું એર ઈન્ડિયામાં વિલિનીકરણ કરાયું ત્યાર પછી તેની ખોટ સૌથી ઊંચી હશે. આનું કારણ કોરોના વાઈરસ રોગચાળો છે, કારણ કે એના ઉપદ્રવને કારણે પ્રવાસ-પર્યટન પર નિયંત્રણો લાગુ કરવાની ફરજ પડતાં દુનિયાભરમાં તમામ એરલાઈન્સની આવકને ફટકો પડ્યો છે.