પાકિસ્તાનમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 28 ના મોત, 150થી વધુ ઘાયલ

બોમ્બ બ્લાસ્ટથી પાકિસ્તાન ફરી એકવાર હચમચી ગયું છે. પેશાવરની એક મસ્જિદમાં સોમવારે (30 જાન્યુઆરી) બપોરે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં જોહરની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. મસ્જિદમાં થયેલા બ્લાસ્ટને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ વિસ્ફોટમાં 28 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુમલાખોરે નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી હતી. બોમ્બ બ્લાસ્ટમાં મસ્જિદની છત ધરાશાયી થઈ ગઈ છે.

મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ

જિયો ન્યૂઝના અહેવાલ મુજબ આ બ્લાસ્ટમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં અનેક પોલીસકર્મીઓના પણ મોત થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અત્યારે કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. હાલ પાકિસ્તાન સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો

વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કર્યા બાદ માત્ર એમ્બ્યુલન્સને જ આવવા દેવામાં આવી રહી છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી બોમ્બર મસ્જિદમાં નમાજ દરમિયાન આગળની હરોળમાં હાજર હતો અને પછી તેણે પોતાની જાતને ઉડાવી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં વિસ્ફોટ થયો તેની નજીક સેના યુનિટની ઓફિસ છે.

જોરદાર વિસ્ફોટના કારણે મસ્જિદનો એક ભાગ પડી ગયો હતો

રિપોર્ટ અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. વિસ્ફોટનો અવાજ લગભગ 2 કિમી દૂર સુધી સંભળાયો હતો. પેશાવર પોલીસ લાઈન્સમાં હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ આકાશમાં ધૂળ અને ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલ (LRC)ના પ્રવક્તા મોહમ્મદ આસિમે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.