70 વર્ષ પછી દેશમાં ચિત્તાનો જન્મ, નામીબિયન માદા ચિત્તાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી દેશ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નામિબિયાની માદા ચિત્તા સિયાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. માદા ચિત્તા અને ચાર નાના મહેમાનો અત્યારે એકદમ સ્વસ્થ છે. એક ખાસ ટીમ નવા મહેમાનો અને માદા ચિતાની ખાસ કાળજી લઈ રહી છે. 1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા. 70 વર્ષ પછી આવું પહેલીવાર બન્યું છે, જ્યારે દેશની ધરતી પર ચિત્તાનો જન્મ થયો છે.

ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ નવા મહેમાનોના આગમન પર તેમની ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે બચ્ચાનો જન્મ એ હકારાત્મક સંકેત છે કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ તેમના નવા વાતાવરણમાં સારી રીતે અનુકૂલન કરી રહ્યા છે. આ ઉદ્યાનને ભારતની વન્યજીવ વસ્તીમાં ચિત્તાના પુનઃ પ્રવેશ માટે યોગ્ય નિવાસસ્થાન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ તેમના 72માં જન્મદિવસના અવસર પર એમપીના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તા છોડ્યા હતા, જેમાં નામીબિયાથી લાવવામાં આવેલા પાંચ નર અને ત્રણ માદા ચિત્તાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ એક માદા ચિત્તા સાશાનું ઇન્ફેક્શનને કારણે મોત થયું હતું.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે બુધવારે જણાવ્યું હતું કે નામીબિયાથી ભારત લાવવામાં આવેલી માદા ચિત્તામાંથી એકે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. તેમણે તેને ‘અમૃત કાલ’ દરમિયાન ભારતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે વર્ણવ્યું હતું. ટ્વીટ કરીને લખ્યું કે “મને એ જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાન મોદીના દૂરંદેશી નેતૃત્વમાં 17 સપ્ટેમ્બર 2022ના રોજ ભારતમાં લાવવામાં આવેલ ચિત્તાના ચાર બચ્ચાનો જન્મ થયો છે.” મંત્રીએ પ્રોજેક્ટ ચિતાની સમગ્ર ટીમને ચિત્તાઓને ભારતમાં પાછા લાવવાના તેમના અથાક પ્રયાસો અને ભૂતકાળમાં થયેલી પર્યાવરણીય ભૂલને સુધારવાના તેમના પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા.

બે દિવસ પહેલા શાશાનું અવસાન થયું હતું.

નામિબિયાની માદા ચિત્તા સાશા સોમવારે, 27 માર્ચના રોજ કુનો નેશનલ પાર્કમાં તેના ઘેરામાં મૃત હાલતમાં મળી આવી હતી. તેમની કિડની ફેઈલ થઈ ગઈ હતી અને તેમની સારવાર ચાલી રહી હતી. આ સમાચારે દેશમાં ચિત્તાઓને પુનઃ સ્થાયી કરવા માંગતા વન્યજીવ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા, પરંતુ એકસાથે ચાર બચ્ચાનો જન્મ થયા બાદ હવે દેશમાં ચિત્તાના પુનઃ વસવાટની આશા ફળીભૂત થઈ રહી છે.

કુનોમાં ચિત્તાઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ

ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા અને કુનોમાં છોડવામાં આવ્યા હતા, જ્યારે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ ભારતમાં લાવવામાં આવી હતી. આ 12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે. તમામ ચિત્તાઓ સહિત, હાલમાં કુનોમાં ચિત્તાઓની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે.

1952માં દેશમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા

ભારતમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં મૃત્યુ પામ્યો હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર હેઠળ ભારતમાં ચિત્તાઓને ફરીથી રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે 2009 માં ‘પ્રોજેક્ટ ચિતા’ની શરૂઆત કરી હતી. દેશના ઘણા રાજ્યોમાં થયેલા સર્વે બાદ, મધ્યપ્રદેશમાં કુનો નેશનલ પાર્કને ચિત્તાઓના પુનર્વસન માટે અનુકૂળ ગણવામાં આવ્યું હતું અને પ્રોજેક્ટ ચિતા માટે તેની પસંદગી કરવામાં આવી હતી. લગભગ 22 વર્ષની લાંબી રાહ જોયા બાદ 2022માં આઠ ચિત્તા પ્રથમ વખત નામીબિયાથી લાવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા.