પેરિસ પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ માટે પુરસ્કારોની જાહેરાત

પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય પેરા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આની જાહેરાત કરી હતી. ભારતે તાજેતરમાં સમાપ્ત થયેલી આ ગેમ્સમાં તેના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને સાત ગોલ્ડ સહિત કુલ 29 મેડલ જીત્યા હતા. પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને 30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય મિશ્રિત ટીમમાં સામેલ મેડલ વિજેતાઓને 22.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું

શાનદાર પ્રદર્શનથી ભારતે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં 50 મેડલનો આંકડો પણ પાર કર્યો. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ મંગળવારે ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકો દ્વારા ફૂલો, માળા અને મીઠાઈઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 29 મેડલ સાથે તેના ઐતિહાસિક અભિયાનનો અંત કર્યો હતો.

લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે સંપૂર્ણ સમર્થન મળશે

માંડવીયાએ 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પેરા એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ પ્રદાન કરવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. 2016માં ચાર મેડલમાંથી, ભારતે ટોક્યોમાં 19 અને પેરિસમાં 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું. અમે અમારા તમામ પેરા એથ્લેટ્સને તમામ સુવિધાઓ પૂરી પાડીશું જેથી કરીને અમે 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ અને ગોલ્ડ મેડલ જીતી શકીએ.