પાકિસ્તાન માટે જાસૂસીના કેસમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસે રૂપનગરથી જસબીર સિંહ નામના યુટ્યુબરને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જસબીર સિંહ પોતાની ‘જાન મહલ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે અને તેની સાથે અગાઉ જ ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા તેમ જ પાકિસ્તાની નાગરિક એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે સંપર્ક હતો. દાનિશ પહેલાં પાકિસ્તાની હાઈ કમિશનનો અધિકારી રહી ચૂક્યો છે.

પંજાબ પોલીસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો
આ કેસમાં પંજાબ પોલીસના DGP ગૌરવ યાદવે જણાવ્યું હતું કે મોહાલી સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન્સ સેલ (SSOC) એ રૂપનગરના મહલા ગામના રહેવાસી જસબીર સિંહ સાથે જોડાયેલું મોટું જાસૂસી નેટવર્ક પકડ્યું છે. જસબીર ‘જાન મહલ’ નામથી યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને તેનો સંબંધ PIO શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે હતો, જે આતંકી સંલગ્ન જાસૂસી નેટવર્કનો ભાગ છે.

તેનો સંબંધ હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (જે અગાઉ જ ધરપકડમાં આવી ચૂકી છે) અને પાકિસ્તાનના નિષ્કાષિત હાઈકમિશન અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે પણ હતો.

જસબીર પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ સમારંભમાં પણ થયો હતો. તપાસમાં ખૂલ્યું છે કે જસબીરે દાનિશના આમંત્રણ પર દિલ્હીમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના સમારંભમાં ભાગ લીધો હતો, જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ અને બ્લોગર્સ સાથે થઈ હતી. તે 2020, 2021 અને 2024માં ત્રણ વખત પાકિસ્તાન ગયો હતો. તેનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પાકિસ્તાન આધારિત ઘણા ફોન નંબર મળ્યા છે, જેના ફોરેન્સિક વિશ્લેષણ ચાલી રહ્યું છે.

જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ પછી જસબીરે પોતાની વાતચીત અને સંપર્કના પુરાવાઓ નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોહાલી SSOC પોલીસ મથકમાં FIR નોંધવામાં આવી છે અને સમગ્ર નેટવર્કને નાબૂદ કરવા માટે તપાસ ચાલુ છે.