વિશ્વઉમિયાધામ ખાતે અમેરિકા સહિત 5 દેશના 500 NRI પરિવારજનોનું સ્નેહમિલન યોજાયું

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે NRI સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. વિશ્વભરમાં વસતા પાટીદારની આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે રવિવારે યોજાયેલા NRI સ્નેહમિલનમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન (UK) અને આફ્રિકા સહિતના દેશોમાંથી NRI પરિવારો પધાર્યા હતા. અમેરિકા-કેનેડા સહિત વિવિધ દેશોના લગભગ 500થી વધુ NRI પરિવારજનોએ આ સ્નેહમિલનમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે સામાજિક સશક્તિકરણ અને આસ્થા – એકતા અને ઊર્જાનાધામ સમા વિશ્વઉમિયાધામમાં આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત જગતજનની મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યમાં વિદેશમાં વસતા બંધુ-ભગિનીઓનો સહયોગ સરાહનીય રહેલ છે. ત્યારે વિદેશમાંથી માદરે વતન પધારેલા સર્વે બંધુ – ભગિનીઓ સાથે સંસ્થાના દાતાશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓના વિચારોનું આદાન પ્રદાન તેમજ સંસ્થાના આગામી આયોજનની ચર્ચા- વિચાર કરવા અંતર્ગત NRI સ્નેહમિલન – અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું.
ગુજરાતી વિદ્યાર્થી માટે વિશ્વઉમિયાધામની ટીમ સહયોગી બનશે
મહત્વપૂર્ણ છે કે વિશ્વઉમિયાધામ દ્વારા ચાલતી વિદેશ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પાટીદાર એવમ્ સર્વ સમાજના 1300થી વધુ ગુજરાતી યુવક-યુવતીઓને કેનેડામાં વસતા વિશ્વઉમિયાધામ પરિવારો દ્વારા તેમની રહેવા-જમવા એવમ્ જોબની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ અમેરિકાના વિશ્વઉમિયાધામ પરિવારો દ્વારા 100થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓની વિવિધ સ્ટેટ્સમાં વ્યવસ્થા કરેલી છે. આ અંગે વાત કરતા અમેરિકાની સેન્ટ્રલ કમિટીના ચેરમેન ડેનીભાઈ પટેલ જણાવે છે કે અમેરિકા-કેનેડા આવતા ગુજરાતીઓએ ચિંતામુક્ત રહેવાનું છે અમારી વિશ્વઉમિયાધામની ટીમ તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી છે. નોકરી-રહેવા-જમવા સહિત બધી જ વ્યવસ્થા વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા પરિવારો કરશે.