યોગિક સંપત્તિ એટલે ધન સાથે જોડાયેલી શાંતિ અને શીતળતા

મન પૈસામાં છે કે પૈસો મનમાં છે? આ અગત્યના સવાલનો જવાબ દરેક વ્યક્તિ પોતે જ આપી શકે છે. મન પૈસામાં પરોવાયેલું હોય ત્યારે અસલામતી, ઈર્ષ્યા, અહમ્, ડર, નિરાશા અને બીજી અનેક નકારાત્મક લાગણીઓ જન્મ લેતી હોય છે. તેનાથી વ્યક્તિને પોતાને નુકસાન થાય છે, કારણ કે એ સ્થિતિમાં મન શાંત અને શીતળ રહી શકતું નથી.

ઉક્ત સ્થિતિ આગળ વધતાં પૈસો સતત મનમાં રાચતો હોવાની સ્થિતિ બની જાય છે. એવા વખતે મન પૈસા સિવાય બીજી કોઈ વસ્તુનો વિચાર કરી શકતું નથી. એ સ્થિતિમાં ડિપ્રેશન અને હતાશા ઘેરી વળે છે. ફક્ત પ્રશિક્ષિત મનોચિકિત્સક જ આ સ્થિતિમાં માણસની મદદ કરી શકે છે.

મારા એક વરિષ્ઠ નાગરિક ક્લાયન્ટે થોડાં વર્ષો પહેલાં દર ત્રણ મહિને રોકાણની સમીક્ષા કરવા માટે થતી બેઠકમાં મને સવાલ કર્યો હતો. તેમણે મને પૂછ્યું, “ગૌરવ, હું મારી બધી સંપત્તિ દીકરાઓના નામે કરી જવાનો છું. તેઓ ભવિષ્યમાં એનાં ફળ ચાખી શકશે. શું એવો કોઈ રસ્તો છે, જેમાં હું અત્યારે જ એમની પાસેથી એનું કોઈ વળતર મેળવી શકું?” મને આ સવાલથી આશ્ચર્ય ન થયું, કારણ કે મને અને મારા સહયોગી બન્નેને ખબર હતી કે એ ગૃહસ્થ પૈસા સિવાય બીજી કોઈ વાતનો વિચાર જ કરી શકતા નથી. તેઓ એક ખ્યાતનામ વિદ્યાપીઠના બિઝનેસ એન્વાયરમેન્ટ વિષયમાં પીએચ.ડી. હતા.

બીજી એક વ્યક્તિની વાત કરું. એ મારો મિત્ર પણ છે. થોડા જ અરસામાં એણે ચારથી પાંચ વખત મને કહ્યું હતું, “ગૌરવ, યાર, મારે ઘણા બધા પૈસા કમાઈ લેવા છે, કોઈ સારો આઇડિયા હોય તો બતાવ.” આ મિત્ર પુષ્કળ અસલામતીમાં જીવે છે. એ મંદિરે જાય તોય ત્યાં પણ કોઈ કોન્ટેક્ટને શોધીને બિઝનેસ મેળવી લેવાની ફિરાકમાં રહે છે. હું આ વ્યક્તિઓના વર્તન વિશે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે આખો દિવસ મનમાં પૈસા સિવાય બીજી કોઈ વાત હોય જ નહીં એ સારું ન કહેવાય.

મારા એક પરિચિત અનેક વાર મને એકનો એક સવાલ કરતા હોય છેઃ “દર મહિને મારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ?” ખરું પૂછો તો, મારે એ સવાલનો જવાબ આપવો જરૂરી હોતું નથી. તેઓ પોતે જ મનમાં ને મનમાં ગણતરીઓ કર્યે રાખે છે અને પોતાની સંપત્તિનો આંકડો માંડે છે. એ વખતની એમની માનસિક સ્થિતિના આધારે ક્યારેક તેઓ ખુશ થાય છે અને ક્યારેક નિરાશ થાય છે. તેઓ ઘણી મોટી ઉંમરના હોવાથી હું એમની સાથે આકરો થઈને વાત કરી શકતો નથી અને એમને મળવાનો ઈનકાર પણ કરી શકતો નથી. જોકે, એમને મળીએ ત્યારે એકની એક વાત સાંભળવાનું ગમતું પણ નથી.

એકાઉન્ટ્સના ચોપડાઓમાં ગરબડ કરનારાઓ, કરચોરી કરનારાઓ, આવકમાં ખોટી રીતે ડિડક્શન લેનારાઓ એક રીતે પૈસા પ્રત્યેની પોતાની લાલચ દર્શાવતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે ઓછી કમાણી ધરાવતા સામાન્ય માણસે આ બધું કરવાની જરૂર પડતી નથી, કારણ કે એમની આવક કરપાત્ર હોતી નથી. શ્રીમંતો જ બીજે પૈસા ઉડાડવા માટે આ રીત અપનાવતા હોય છે. ઘણા લોકો આવું કરીને પોતાને હોંશિયાર બતાવવાનો પ્રયાસ કરતા હોય છે.

તમે પોતે તમારી માનસિકતા ચકાસી જુઓ. તમે પૈસાની બાબતે કઈ સ્થિતિમાં આવો છો? યોગિક સંપત્તિ એટલે ધન સાથે જોડાયેલી શાંતિ અને શીતળતા. તમને ધન શાંતિ અને સંતોષ આપી શકતું હશે તો જ તમે તેનાં મીઠાં ફળ ખાઈ રહ્યા છો એમ કહી શકાશે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)