એક દિવસ શ્રીમતીજીએ સારા સમાચાર આપ્યા. તેમણે મને કહ્યું કે પાછલા ત્રણ મહિનામાં એમણે પોતાના દરજી કરતાં વધારે મેસેજ મને મોકલ્યા હતા. એમની પાસે એક એવી ઍપ આવી છે, જેમાં એમના ફોન પરના બધા જ સંદેશવ્યવહારની નોંધ થાય છે. એમણે મને જે કહ્યું તેની સામે શું પ્રતિક્રિયા આપવી એ મને સમજાયું નહીં. આવું જ્યારે થાય ત્યારે હું ખુશ થઈને ઊજવણી કરું છું. આથી મેં રસોડામાં જઈને કાજુ કતરીનો એક ટુકડો ખાધો.
હવે બીજી એક વાત કરું. મેં મારાં ભાભીને પૂછ્યું, “તમારા જીવનમાં શું વધુ મહત્ત્વનું છે, મારા ભાઈ કે ઘરનોકર?” એમણે મુત્સદ્દી જવાબ આપ્યો, “તત્કાળ, મહત્ત્વનું અને જરૂરિયાત એ ત્રણે શબ્દોના અર્થ વચ્ચે તફાવત છે.”
ખરું પૂછો તો જીવનમાં આપણે આ તફાવત ભૂલી જઈએ છીએ; ખાસ કરીને ખર્ચ કરવાની વાત આવે ત્યારે. કોરોના રોગચાળાના સમયમાં વર્ક ફ્રોમ હોમ ચાલે છે ત્યારે સ્માર્ટ ફોન મહત્ત્વપૂર્ણ પણ છે અને જરૂરિયાત પણ છે. પણ જો એ કામ કરતો બંધ થઈ જાય તો તત્કાળ નવો ફોન લઈ આવવાની જરૂર રહેતી નથી. આપણે ફોનનું સમારકામ કરાવી શકીએ છીએ. વળી, આ કિસ્સામાં સ્માર્ટ ફોન જરૂરી હોય છે, પણ એ નવીનતમ અને મોંઘું મોડેલ હોય એ જરૂરી નથી. કોઈ એક અભિનેત્રી કે મોડેલ માટે મોંઘામાં મોંઘાં કોસ્મેટિક્સ જરૂરિયાત છે, પણ કૉલેજમાં જતી કન્યા માટે તો એ લક્ઝરી કહેવાય.
મારી બાજુની ઑફિસવાળા સુરેશભાઈ પોતાના જન્મદિવસે હંમેશાં ફાઇવ સ્ટાર કે એવી જ કોઈ રેસ્ટોરાંમાં જમવા જતા હોય છે. મોટાભાગે તેઓ ક્રેડિટ કાર્ડથી જ પૅમેન્ટ કરતા હોય છે. તેઓ ક્રેડિટ કાર્ડના બિલનું પૅમેન્ટ કરવાનું ચૂકી જતા હોવાથી દર વખતે એમણે તોતિંગ વ્યાજ ચૂકવવું પડે છે.
જન્મદિવસે બહાર જમવા જવું નહીં એવું હું ક્યારેય કહેતો નથી. એ તો દરેકની પોતાની પસંદ હોય છે, પરંતુ પૈસા ઓછા પડી જાય તોપણ ક્રેડિટ કાર્ડથી પૅમેન્ટ કરવું નહીં. અહીં એ કહેવું જરૂરી છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો ઉપયોગ કર્યા બાદ બિલની ચૂકવણી સમયસર કરી દેવી જોઈએ. ક્રેડિટ માથે ચડાવતાં રહેવાનું ઘણું ભારે પડતું હોય છે.
જીવનમાં ઘણી વાર આપણે અકારણ વધારે પડતો ખર્ચ કરી દેતા હોઈએ છીએ. ક્યારેક જરૂરિયાતના નામે ખર્ચ કરી દઈએ છીએ. આવા ખર્ચને પછીથી વાજબી ઠેરવવા માટે આપણે મનને ફોસલાવતાં રહીએ છીએ. ખરેખર તો એ બિનજરૂરી અને નિરર્થક ખર્ચ હોય છે. આવા ખર્ચથી મળનારો આનંદ કામચલાઉ હોય છે. ક્યારેક એ ખર્ચ કરવાથી ગુનાહિત લાગણી પણ જન્મે છે.
યોગિક સંપત્તિમાં ખર્ચનો વિરોધ નથી. જોકે, નિરર્થક ખર્ચની તરફેણ પણ એમાં કરવામાં આવી નથી. કોઈ ખર્ચ નિરર્થક છે કે નહીં એનો નિર્ણય વ્યક્તિએ વ્યક્તિએ અને દરેક ખર્ચ પ્રમાણે બદલાય છે. જે ખર્ચ કર્યા પછી આપણું મન એને વાજબી ઠેરવવા માટે બહાનાં શોધવા લાગે અથવા તો આપણને ગુનાહિત લાગણી થાય એ ખર્ચ મહદ્ અંશે નિરર્થક જ હોય એમ કહેવાય.
વિશ્વમાં ગમે ત્યાં જાઓ, અર્થકારણનો સંબંધ રોકાણ, ધિરાણ, વગેરે સાથે છે. ફક્ત આપણા દેશમાં શાસ્ત્રોમાં દરેક નાણાકીય બાબતનો ઝીણવટપૂર્વક વિચાર કરીને તેની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે. વૈશ્વિક અર્થશાસ્ત્રમાં બિહેવિયરલ ફાઇનાન્સનો એક વિષય છે. જોકે, એમાં પણ મનુષ્યના ખર્ચ અને રોકાણને સંબંધિત વ્યવહાર-વર્તનની જ વાત કરવામાં આવી છે. ભારત સિવાય બીજે ક્યાંય આ વિષયોના હલ આપવામાં આવ્યા નથી. ફક્ત આપણાં શાસ્ત્રોમાં ખર્ચ અને તેને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણને આટલું બધું જ્ઞાન સહેલાઈથી ઉપલબ્ધ કરાવાયું છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
