ફિરોઝની ‘દયાવાન’ માં શ્રીદેવીને બદલે માધુરી આવી હતી!

કમલ હસનની મણિરત્નમ નિર્દેશિત તમિલ ફિલ્મ ‘નાયકન’ (1987) સફળ રહ્યા પછી એના નિર્માતાઓમાંના એક જી. વેંકટેશ્વરને ફિરોઝ ખાનને ફિલ્મ બતાવી અને એની હિન્દી રિમેક બનાવવા કહ્યું. ત્યારે ‘યલગાર’ નું આયોજન કરી રહેલા ફિરોઝને આ ફિલ્મ બહુ પસંદ આવી અને એને તરત બનાવવાનો નિર્ણય કરી એના અધિકાર ખરીદી લીધા.

હવે બન્યું એવું કે નિર્દેશક ટીનુ આનંદે ફિલ્મ ‘નાયકન’ માં એક ભૂમિકા ભજવી હતી. ટીનુ આ ફિલ્મને અમિતાભ સાથે હિન્દીમાં બનાવવા માંગતા હતા. જ્યારે ટીનુએ ‘નાયકન’ ના નિર્માતા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ફિલ્મના અધિકાર ફિરોઝ ખાનને આપી દેવામાં આવ્યા છે.

ફિરોઝે ટીનુને હિન્દી રિમેક ફિલ્મ ‘દયાવાન’ (1988) માં એ જ ભૂમિકા આપી જે એમણે ‘નાયકન’ માં કરી હતી. ટીનુએ શરૂઆતમાં કમલને ‘નાયક્ન’ માં અભિનય માટે ના પાડી હતી. તે નિર્દેશક તરીકેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા. પરંતુ ત્યારે કમલ સાથે ‘પુષ્પક’ માં પણ કામ કરી રહ્યા હતા અને 10 દિવસના શુટિંગ માટે આગ્રહ કર્યો હતો એટલે ના પાડી શક્યા ન હતા.

ફિરોઝ ખાને મુખ્ય ભૂમિકા માટે વિનોદ ખન્નાનો સંપર્ક કર્યો. વિનોદે હા પાડી પરંતુ સ્ક્રીન ટેસ્ટ લઈ યોગ્ય લાગે છે કે નહીં એની ખાતરી કરી લીધી. વિનોદે આ એક રિમેક હોવાથી પાત્ર દક્ષિણના નહીં પણ ઉત્તર ભારતના રાખવાનું સૂચન કર્યું હતું. પણ ફિરોઝ ખાને નક્કી કર્યું હતું કે ‘નાયકન’ જેવી જ બનાવવી છે. એટલે પાત્ર અને માહોલ એ જ રહેવા દીધા. તેથી વિનોદે પોતાના અંદાજને બદલે કમલ હસનની નકલ કરી અને વૃધ્ધ વ્યક્તિ બન્યા એ દર્શકોને ગમ્યું ન હતું. વિનોદની પત્નીની ભૂમિકા માટે પહેલાં શ્રીદેવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

શ્રીદેવીએ પોતાની ભૂમિકા સમજવામાં અને અંગપ્રદર્શન મર્યાદામાં કરવાની વાત કરવા લાંબો સમય લીધો હતો. પરંતુ શ્રીદેવી પાસે સળંગ તારીખો ઉપલબ્ધ ના થઈ એટલે કેટલીક નવી છોકરીઓનો સ્ક્રીન ટેસ્ટ લીધો. એ દરમ્યાન બોની કપૂરે માધુરી દીક્ષિતના નામનું સૂચન કર્યું. અને એને સાઇન કરી લીધી. માધુરીની ‘દયાવાન’ પછી ‘તેજાબ’ રજૂ થઈ હતી. પરંતુ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથેના અંતરંગ અને ચુંબન દ્રશ્યથી બહુ ચર્ચામાં આવી ગઈ હતી. ફિલ્મ ઓછા સમયમાં બનાવવી હતી એટલે મુંબઈમાં જ ‘દયાવાન’ નો સેટ ઊભા કરી દીધો હતો. અને બે મહિનામાં જ બધું શુટિંગ આટોપી લીધું હતું.

ફિલ્મના સંગીતકાર તરીકે ફિરોઝ ખાને પહેલી વખત લક્ષ્મીકાન્ત -પ્યારેલાલને સાઇન કર્યા હતા. સામાન્ય રીતે એમની ફિલ્મોમાં કલ્યાણજી- આણંદજીનું જ  સંગીત રહેતું હતું. એલ.પી. ને રાખવા પાછળ કારણ હતું. બે ગીતો ‘નાયકન’ ના જ લેવાના હતા. અને એની ધૂનમાં ખાસ ફેરફાર કરવાનો ન હતો. ફિલ્મના કેટલાક ગીતો લોકપ્રિય થયા હતા પરંતુ ફિરોઝની અગાઉની ફિલ્મો જેટલા થયા ન હતા. અભિનય સાથે નિર્માણ અને નિર્દેશન કરવા ઉપરાંત ફિરોઝ ખાને ફિલ્મનું વિતરણ પોતે જ કર્યું હતું. પરંતુ મૂળ ફિલ્મ જેવી જ બનાવી હોવાથી અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ મળ્યો ન હતો.