વાસ્તુ: ઉત્તરનો દોષ માણસનો સ્વભાવ અસંતોષ વાળો બનાવી શકે

પાપ અને પુણ્ય વિશે નિર્ણયો કોણ લે છે? કયા ઈશ્વર એની સમજણ આપવા આવે છે? પુનર્જન્મ છે કે અહીં એની ખાતરી શું? જે લોકો બીજાને રંજાડે છે, બધું જ ખોટું કરે છે એ સુખી છે અને જે નીતિ નિયમોથી ચાલે છે એ દુઃખી છે તો કર્મનો સિદ્ધાંત ક્યાં ગયો? જેની પાસે ધન અથવા સત્તા છે એમને માટે નિયમો બદલાય છે તો પછી કોઈ પણ રસ્તે ધનાઢ્ય થવું જરૂરી છે. આવા સવાલો અને વિચારો ધરાવતી નવી પેઢી આપણી સંસ્કૃતિને કેટલી સાચવી શકશે? વળી શું એમના બધા સવાલોના જવાબો આપણી પાસે છે? નિર્ભયાના અપરાધીનો કેસ લડનાર વકીલ પણ ગીતાની વાત કરીને પોતાના વિચારોને સમર્થન આપે અને એનો વિરોધ ન થાય ત્યારે સમાજની દિશા વિષે વિચારવું જોઈએ એવું લાગે. વળી કળીયુગમાં તો આવું થાય જ એ વાક્ય અચાનક કેમ પ્રચલિત થયું? કલિયુગ ક્યારે શરુ થયો અને એનો અંત ક્યારે થશે એની સચોટ માહિતી કોઈ આપી શકે ખરું? જો એ શક્ય નથી તો આપણે કોઈ અવતારની રાહમાં અત્યારથી કેમ બેઠા છીએ? શું પોતાની લડાઈ પોતે ન લડી શકાય? રામના આવતા પહેલા સીતાજીએ પોતાના સતના જોરે રાવણને હરાવ્યો હતો તે સહુ જાણે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: નિર્ભયાનો કેસ લડનાર વકીલનો સામજિક બહિસ્કાર કેમ ન થયો? શું વકીલનો ધર્મ માત્ર પૈસા કમાવવાનો જ છે? સરકારી ઓફિસમાં ધક્કા ખાતી વખતે આપણે એમના ગુલામ હોઈએ એવી લાગણી કેમ અનુભવીએ છીએ? કોઈ ગુંડાગીરી કરે તો આસપાસના લોકો મદદ કરશે કે નહિ એ બાબતમાં શંકા કેમ રહે છે? સુરતમાં એક છોકરીનું જાહેરમાં ખૂન થયું. એની વિડીયો વાયરલ થઇ પણ કોઈ બચાવવા કેમ ન ગયું? આપણી પ્રજાની ખુમારી ક્યાં ગઈ? યુક્રેન રસિયા સામે ટકી ગયું એનું એક કારણ એ પણ છે કે કે ત્યાં ની પ્રજાને પણ ભારોભાર દેશપ્રેમ હતો. ભારત પર કોઈ આક્રમણ થાય ત્યારે પ્રજા એ ભાવના દેખાડશે? આ માત્ર મારા વિચારો છે. મારે એ બાબતમાં કોઈ સોલ્યુશન જોઈતું પણ નથી.

હું જે જગ્યાએ રહું છુ ત્યાં મેનેજમેન્ટ કમિટી બધું જ ખોટું કરી રહી છે. વળી એમનો સ્વભાવ એટલો શંકાશીલ અને બદલાની ભાવના ધરાવતો છે કે કોઈ એને પહોંચી જ ન શકે. મારા એક પાડોશીએ ઘર વેંચવા કાઢ્યું. અમારી કોમન દીવાલ છે. કમિટીમાં એક ભાઈ દલાલી કરે છે. એમનો મારા પર ફોન આવ્યો કે મને તમારી બાજુનું મકાન ગમ્યું છે. પણ મારે બે મકાન એક સાથે લેવા છે. તો તમે તમારું મકાન અર્ધી કીમતે આપી દ્યો. મેં ના પાડી કે મારે મકાન નથી વેંચવાનું. વળી એમને સસ્તામાં મકાન જોઈએ તો ખોટ ખાઈને કોણ આપે. બસ પછી તો એમનો ત્રાસ શરુ થઇ ગયો. ઘરની બહારથી કચરો લેવરાવવાને બદલે અન્યનો કચરો પણ નાખી જાય. માખીઓ ઘરમાં આવે. અમારા ઘરની પીવાના પાણીની લાઈન બંધ કરી દીધી. અમારે તાત્કાલિક ધોરણે સાદા પાણીની લાઈનમાં આર ઓ ફીટ કરાવવું પડ્યું. એ સીની પાઈપ કપાવી નાખી. અને બહાનું એવું કાઢ્યું કે તમારી નીચેવાળાફરિયાદ કરે છે કે એમના ઘરમાં પાણી આવે છે. ઉપરના મકાનમાં એમના સગા રહે છે. એ એમના એસી ની પાઈપ અમારી બાલ્કનીમાં નાખીને સુકવેલા કપડા પલાળી નાખે છે. વળી એમની બાજુમાંથી પણ ગાડીમાં પસાર થઈએ તો બુમો પડે કે હંમે સબ પતા હૈ. તુમ હમારી બાતે સુન લો. લેકિન કુછ નહિ કર પાઓગે. હવે એ છે કોણ કે એને આટલું બધું મહત્વ આપવું પડે? અમારા બિલ્ડીંગમાં એમણે પીજી શરુ કર્યા છે. જેના કારણે પ્રોપર્ટીના ભાવ ન વધે અને અમે સસ્તામાં વેંચીને જતા રહીએ. આનો કોઈ ઉપાય ખરો? શું સરકાર સોસાયટીમાં પીજી ન બનાવવા અંગે કાયદો ન લાવી શકે?

જવાબ: તમારા વિચારો ક્રાંતિકારી છે. અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણથી લોકો વિરોધ કરવાનું ભૂલી ગયા છે. સુખ શું એ કોઈને ખબર જ નથી. એટલે વૈભવમાં સુખ શોધી રહ્યા છે. તમારા પડોસીઓ સાથે બેસીને વાત કરવી જોઈએ કે આજે મારો વારો છે. કાલે તમારો પણ હોઈ શકે. બની શકે કે એ લોકો તમારા પાડોસીઓને પણ હેરાન કરતા હોય. અને એક બીજાનું નામ આપીને તમારી વચ્ચે અંતર રખાવતા હોય. તમે વાતચીત કરશો તો ચોક્કસ લાભ થશે. સોસાયટીમાં પીજી એટલે કોમર્સિયલ એક્ટીવીટી. એક મકાનમાં પંદર વીસ લોકો રહેતા હોય એટલે પાણીનો વપરાશ, પાર્કિંગ, ઘોંઘાટ જેવી સમસ્યા તો ઉદ્ભવે જ. પણ એકલા સ્ત્રી પુરુષો ના કારણે વાતાવરણ પર પણ અસર થાય. કોઈ ગુનો થાય તો આખી સોસાયટીને ભોગવવું પડે. અને તમારા કહેવા મુજબ વાતાવરણ યોગ્ય તો નથી જ. તેથી વિરોધ તો કરવો જ જોઈએ. બાકી ધીમે ધીમે આખી સોસાયટી સસ્તામાં આપી દેવી પડશે.

તમારી સોસાયટીના જે તોફાની કમિટી મેમ્બર છે તે ઉત્તર અને દક્ષીણ અગ્નિમાં રહે છે. એટલે કાવાદાવા થવાની સંભાવના રહે. જો એ લોકો માને તો ઈશાનમાં તુલસીનું વન બનવી દો. ફર્ક પડશે.

સુચન: ઉત્તરનો દોષ માણસનો સ્વભાવ અસંતોષ વાળો બનાવી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)