લક્ષ્મી ચંચળ છે કે આપણે?

લક્ષ્મી ચંચળ છે એવું આપણે વર્ષોથી કહેતાં-સાંભળતાં આવ્યા છીએ. જોકે, મેં જ્યારે પણ આ વિષયે વિચાર કર્યો છે ત્યારે મારા મનમાં એક જ પ્રશ્ન ઝબૂક્યો છે કે લક્ષ્મી ચંચળ છે કે આપણે? ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે મેં લક્ષ્મી વિશે વધુ ને વધુ સમજ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી આ વિષયે માર્ગદર્શન આપતી વખતે તેનો લાભ ક્લાયન્ટ્સ સુધી પહોંચાડી શકાય. આથી મેં વિવિધ શાસ્ત્રોનો, જ્ઞાતાઓ-વિદ્વાનોનાં પ્રવચનો-પુસ્તકો તથા વિવિધ ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને લક્ષ્મી વિશેનાં અવતરણો અને ઉલ્લેખો શોધવાનો નિર્ણય લીધો. લક્ષ્મી સ્થાયી કઈ રીતે થાય એ જાણવાનો આપણો પ્રયાસ છે. મને આ શોધમાં વિશદ્ જાણકારી પ્રાપ્ત થઈ છે. આગામી થોડાં સપ્તાહોમાં આપણે તેના વિશે વાત કરીશું. આ વખતે મારી એક વિશેષ વિનંતી છે કે આપનાં મંતવ્યો અને જ્ઞાનનો લાભ આપજો. મારું ઇ-મેઇલ એડ્રેસ અહીં આપેલું જ છે.

આપણે ભગવદ્ ગીતાથી પ્રારંભ કરીએ. તેના 16મા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અસૂર (રાક્ષસ)ની વ્યાખ્યા કરી છે. આ વ્યાખ્યા 16.6ઠ્ઠા શ્લોકથી શરૂ થાય છે અને 16.12મા શ્લોક સુધી જાય છે.

                                                      आशापाशशतैर्बद्धा: कामक्रोधपरायणा:                                                                                          ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्जयान्

“સેંકડો ઇચ્છાઓથી બંધાયેલા અને કામ તથા ક્રોધથી દોરવાતા લોકો અનુચિત માર્ગે ધનનો સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે. આ બધું ઇન્દ્રિયોના ઉપભોગ માટે કરવામાં આવે છે.”

કર ચૂકવવાનું કેવી રીતે ટાળવું એવું જ્યારે મને કોઈ પૂછે ત્યારે હંમેશાં મારા મનમાં એક વિચાર આવે છેઃ જેમની આવક કરપાત્ર હોય તેઓ જ કર બચાવવાની કે ટાળવાની વાત કરતા હોય છે. જેની આવક કરમુક્ત મર્યાદામાં આવે છે તેમણે એવો કોઈ વિચાર કરવો પડતો નથી.

અત્યારે ભારતમાં આવકની જે કરમુક્ત મર્યાદા રાખવામાં રાખવામાં આવી છે તેમાં ખોરાક, કપડાં, રહેઠાણ અને આરોગ્ય એ મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે જે આવકમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ તે કરમુક્ત જ છે.

જો આ વાત સાચી હોય તો લોકો કરવેરો ચૂકવવાનું કેમ ટાળવા માગે છે? તેનું કારણ એ છે કે લોકો પોતાની એષણાઓ, લોભ અને અન્ય ઇન્દ્રીયસુખ સંતોષવા માટે ધનનો ઉપયોગ કરવા માગે છે.

એક દિવસ એક અગ્રણી આર્કિટેક્ટે મને કહ્યું હતું કે તેઓ અને તેમનાં પત્ની વિશ્વમાં ક્યાંય પણ આર્કિટેક્ચરને લગતી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ શોધતાં હોય છે. આ વાત સાંભળીને પહેલાં તો મને સારું લાગ્યું કે આટલા અનુભવ પછી પણ આ વ્યક્તિ પોતાનું જ્ઞાન વધારવા માટે ઉત્સુક છે. પછીથી સમજાયું કે તેઓ પરિષદમાં હાજરી આપવાના નામે વિદેશમાં વૅકેશન કરી આવતાં અને તેનો ખર્ચ ‘પ્રોફેશનલ એક્સપેન્સ’ તરીકે લખાવતા. આ રીતે તેમને કરવેરામાં રાહત મળતી. તેમણે મને ગૌરવપૂર્વક કહ્યું હતું કે દેશમાં વિદેશી ચલણની અછત હોય એવા સમયે પણ આ ખર્ચના નામે તેઓ રિઝર્વ બૅન્ક પાસેથી વિદેશી હૂંડિયામણ મેળવી શક્યા છે. એ વર્ષોમાં ભારતમાં વિદેશી હૂંડિયામણ છૂટથી વાપરી શકાતું ન હતું, કારણકે રિઝર્વ બૅન્કે અનેક મર્યાદાઓ રાખી હતી. લોકો પોતાના અંગત મોજશોખ પૂરા કરવા માટે સિસ્ટમમાંથી છટકબારીઓ શોધીને ટેક્સ બચાવી લે છે એ બાબત મનમાં ખૂંચનારી છે. તેના પરથી આપણી માનસિકતાનો પરિચય મળે છે.

અહીં એક ટ્રાવેલ એજન્ટનું ઉદાહરણ પણ ટાંકવા જેવું છે. તેઓ ઉનાળાની રજાઓમાં વિદેશ જનારા પર્યટકોને ટિકિટ, હોટેલ બુકિંગ, વિદેશી હૂંડિયામણ, વગેરે બાબતે વ્યવસાયી સેવાઓ આપતા. તેઓ વિઝા મેળવી આપવામાં પણ મદદરૂપ થતા. જોકે, તેઓ વિઝા સાથેના પાસપોર્ટ છેલ્લા દિવસ સુધી પોતાની પાસે રાખતા. લોકોએ ફરવા જવા માટે બધી તૈયારી કરી લીધી હોય એવા સમયે તેઓ કહેતા કે વિઝા અને બીજું બધું તૈયાર છે, પરંતુ વિઝાની કચેરીનો કારકૂન લાંચ માગે છે. કારકૂનના નામે તેઓ પોતે જ ગ્રાહકો પાસેથી ઉપરની આવક મેળવી લેતા. ભગવદ્ ગીતામાં કહ્યા મુજબ આવી માનસિકતા ધરાવતા લોકો અસૂર છે. આવા લોકો પાસે ધન પેઢીઓ સુધી રહેતું નથી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)