તમારો ‘આઈ’ સ્મૉલ છે કે કૅપિટલ?

મારી આગળ કોઈની હુશિયારી ન ચાલે…

મારા ઘરમાં હું કહું કરું એમ જ થવું જોઈએ. જો એમ ન થાય તો ઘરના સભ્યો ખરાબ. હું તેમને ધાકધમકી આપીને કે મેણાંટોણા મારીને મારી ઈચ્છા મુજબ કરાવીને જ જંપું.

જો ઘર હું ચલાવતો હોઉં તો ઘરમાં મારું જ ચાલવું જોઈએ…

જાહેર જીવનમાં આવા સંવાદ તમે અવારનવાર સાંભળ્યા હશે. કોઈ કદાચ આને વ્યવહાર કે સંસ્કાર કહે, પણ હકીકતમાં આને અહં કહેવાય. તમે જ સર્વેસર્વા અને ઘરમાં તમે ચાહો એમ જ બધું થવું જોઈએ એ ભ્રમણા આવું વિચારતી વ્યક્તિએ મનમાંથી કાઢી નાખવી, કારણ કે આ ભ્રમણા એટલે તમારી અંદર રહેલો તમારો અહં, જે ક્યારેક તમને મોટી મુસીબતમાં મૂકી શકે.

જે વ્યક્તિ વ્યવહારની કે સંસ્કારની વાત કરે છે, તે ક્યારેય અહંને મોટો નથી થવા દેતો. જે વ્યકિતની અંદર યોગ્ય સંસ્કારનું સિંચન થયેલું છે તે વ્યક્તિ પોતાની અંદર હુંપદને પ્રવેશવા નથી દેતી. કોઈ પણ સુખી, સશક્ત સાંસારિક જીવનનો ધ્યાનથી તપાસ કરશો તો ખ્યાલ આવશે કે એ યુગલમાં કોઈ બૉસ નથી હોતું. ઘરની દરેક વ્યક્તિ પોતે સર્વેસર્વા હોવાને બદલે દરેક હળીમળીને સમજીને રહેતી હોય તો જ ઘર, પરિવાર સારી રીતે ચાલે અને ટકે. આપણે આસપાસ નિહાળીએ તો ખ્યાલ આવે કે મહાનગરોમાં રોજના કેટલાય છૂટાછેડાના કેસ નોંધાય છે, આ પાછળ મોટા ભાગે બે વ્યક્તિનો અહં જ જવાબદાર હોય છે. જે વ્યક્તિની અંદર જતું કરવાની ભાવના ન હોય, જે વ્યક્તિ સંબંધ કરતાં પોતાના અહંને વધુ મહત્વ આપતી હોય તેના સંબંધોની ડોર નબળી જ હોય છે, કારણ કે અહં નામનો રાક્ષસ તમારા સંબંધને ખોખલા બનાવવાનું કાર્ય કરતાં ક્યારેય અચકાતો નથી.

મારી ઈચ્છા પ્રમાણે જ મારા વર્તુળમાં બધું ચાલવું જોઈએ, મારી સત્તા પ્રમાણે જ મારા કાર્યક્ષેત્રમાં બધું થવું જોઈએ. આ સૌથી મોટા કુસંસ્કાર છે. તમારી ઈચ્છા પ્રમાણે બધું થવું જોઈએ એ વાતનું રટણ કરવાને બદલે થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે વર્તન કરતાં શીખો, થોડું બીજાની અનુકૂળતા પ્રમાણે રહેતા શીખશો તો સંબંધોમાં અને બીજે પણ દરેક જગ્યાએ ઘણી સાનુકૂળતા સાધી શકશો. તમે અન્ય વ્યક્તિને સમજીને થોડા સરળ થઈ શકો એ મોટામાં મોટા સંસ્કાર છે. યાદ રાખજો, અહંશૂન્ય હોવું એ દરેક સંસ્કારની જનની છે.

પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અંગ્રેજીમાં ‘આઈ’ કેપિટલ હોય એ નિયમ છે, પણ હું મારા જીવનમાં હંમેશાં ‘આઈ’ નાનો જ રાખું છું. એ પત્રમાં અંગ્રેજીમાં આશીર્વાદ આપતા તો એમાં પણ ‘આઈ’ સ્મૉલ જ રાખતા.

જીવનમાં દરેક વ્યક્તિ ‘આઈ’ નાનો રાખશે તો સુખી થશે, જો એ ‘આઈ’ કૅપિટલ હશે તો અનેક સમસ્યાનો સામનો કરવો પડશે, માટે જો જીવનને સુખી રાખવા માંગતા હો તો દરેક વ્યક્તિએ પોતાનો આઈ સ્મોલ જ રાખવો. એ સ્મૉલ હશે તો ક્યારેય કોઈ તકલીફ નહીં ઊભી થાય.

જીવનમાં ‘આઈ’ નાનો રાખવો એ સારા સંસ્કાર છે. જો તમે સજાગ અને બુદ્ધિશાળી હશો તો સમજી શકશો કે આવડત માત્ર તમારામાં જ છે એવું નથી, દરેક વ્યક્તિ કે જેણે આ ધરતી ઉપર જન્મ લીધો છે એ કોઈ ક્ષેત્ર, કોઈ વસ્તુમાં તમારાથી વધારે હોશિયાર હોવાની જ. જેમ તમે કોઈ વસ્તુમાં પાવરધા હો એમ બીજી વ્યક્તિ બીજી વસ્તુમાં પાવરધી હોવાની. દરેક વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. એમ દરેક વ્યકિતને કંઈ જ ન આવડતું હોય એવુંય નથી. માટે હું જ બધું છું એવો ભ્રમ એ અહંથી વધારે બીજું કંઈ જ નથી.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)