તાતા-બિરલા-અંબાણી કેમ અલગ તરી આવે છે?

નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ત્રીજી વાર વડા પ્રધાન તરીકે શપથ લઈ કામગીરી આરંભી દીધી. તેમની સાથે સાથે તેમના નવા વરાયેલા પ્રધાનોએ પણ પોતપોતાનાં ખાતાંમાં કામ શરૂ કરી દીધું. આ દરમિયાન વિરોધ પક્ષો, ટીકાકારો તરફથી ચૂંટણીપરિણામો વિશે વડા પ્રધાનની ટીકા થઈ, પણ એમણે પ્રતિ આક્ષેપ કે દલીલ કર્યા વિના પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બલકે એમણે એક વક્તવ્યમાં કહ્યું કે પ્રતિસ્પર્ધીઓ તરફ પૂર્વગ્રહ રાખવાને બદલે આપણે આપણાં કામ પર ફોકસ કરવું જોઈએ.

આમાંથી આપણે આપણી જાતને એક સવાલ કરવાનો કે અણગમતી વ્યક્તિ પ્રત્યેનાં પૂર્વગ્રહ, વેર, બદલો કે દ્વેષ રૂપી બેડીનાં બંધન જરૂરી કે એમાંથી મુક્તિ?

એક પ્રસંગ જોઈએઃ વર્ષો પહેલાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ અને આફ્રિકાના રાષ્ટ્રપુરુષ નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકામાં મળ્યા. શ્વેત વર્ચસ્વ વિરુદ્ધ લડાઈ લડનારા નેલ્સન મંડેલાને રાજદ્રોહના આરોપસર કેદ કરવામાં આવેલા. લગભગ 27 વર્ષ એમણે કાળકોટડીમાં રહેવું પડેલું.  ડૉ. કલામે મુલાકાતમાં નેલ્સન મંડેલાને પ્રશ્ન પૂછ્યો કે, ‘સત્યાવીસ વર્ષના કારાવાસ બાદ તમે કાળકોટડીમાંથી બહાર નીકળ્યા ત્યારે એ મુક્તિની અનુભૂતિ કેવી હતી?’

મંડેલાનો ઉત્તર હતોઃ ‘જેલની બહાર નીકળતી વખતે હું વિચારતો હતો કે હું તો બહાર નીકળીશ, પણ તિરસ્કાર અને કટુતા કાળકોટડીમાં જ મૂકી જવાનાં છે. મને જેલમાં પૂરનાર, મને યાતના આપનાર વિશે કડવાશ સાથે બહાર નીકળીશ તો આઝાદી પછી પણ જેલમાં જ હોઈશ.’

વગર કારણે પૂર્વગ્રહના અને નકારાત્મકતાના સવાસો મણના બોજા માથે લઈને ફરતા હતા એને અત્યારે ફગાવી નહીં દઈએ તો ક્યારે ફગાવીશું? શું થોડું જતું ન કરી શકીએ? એનો ફોન ન આવ્યો… તો શું થયું? તમે એને ફોન કરીને જે ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન ન કરી શકો?

બીજો એક ઉતારી નાખવા જેવો બોજ છે ચાલશે…નો અભિગમ. આપણી પ્રગતિને અવરોધતું જો કોઈ એક મોટું સ્પીડબ્રેકર હોય તો એ છેઃ ચાલશે. આ મનોવૃત્તિ આપણને ટોળામાંનો માણસ બનાવી મૂકે છે.

રતન તાતા કે મુકેશ અંબાણી કે બિરલા જેવા અનેક વેપાર સાહસિકો શા માટે અલગ તરી આવે છે? કેમ કે એમણે ક્ષુલ્લક અથવા બીજાની દષ્ટિએ નક્કામાં ગણાતાં કામો પણ પૂરી લગન સાથે કર્યાં છે.

અમેરિકામાં રંગભેદની નીતિ સામે અવાજ ઉઠાવનારા પાદરી માર્ટિન લ્યુથર કિંગ કહેતા કે ‘રસ્તા પરથી કચરો સાફ કરવાનું કામ પણ એવી રીતે કરવું, જાણે માઈકલ એન્જેલો પેઈન્ટિંગ બનાવતો હોય. એને એવી રીતે કામ કરતો જોઈને ઈશ્વર પણ બોલી ઊઠે કે વાહ, અહીં કચરો વાળનારી એક ઉત્તમ વ્યક્તિ છે.

જો તમે તમારું કામ આત્મસંતોષની ખાતરી સાથે કરો તો પછી તમારી મહત્તા બતાવવા વાજાં વગાડવાની જરૂર પડતી નથી. તમારું કામ જ બોલશે. નક્કી કરો કે તમે કોઈને બતાવી આપવા કામ કરો છો કે માત્ર પતાવી દેવા?

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભૂજ-ભૂકંપમાં કરેલાં રાહતકાર્ય જોઈને 2002માં ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કહેલું કે ‘પ્રમુખસ્વામી મહારાજને દીવાલમાં એક ઈંટ ચણવાનું કામ સોંપ્યું હોય તો એ એવી રીતે કરશે, જાણે ભગવાનના મસ્તક પર મુગટ મૂકતા હોય.’

મોદીજીના આ વિધાનનો પડઘો પડે છે પ્રમુખ સ્વામીએ દેશદુનિયામાં સર્જેલાં ભવ્ય મંદિરોમાં, અક્ષરધામ જેવાં સર્જનોમાં, સમાજને આપેલા તાલીમબદ્ધ સંતોમાં, ભવ્ય-દિવ્ય ઉત્સવમાં અને રાહતકાર્યોના ઊંડાણમાં.

તો હવેથી ચાલશે…ના અભિગમને ભૂલી આપણાં કાર્યક્ષેત્રમાં મન લગાવીને મંડી પડીએ. પછી એ અભ્યાસ હોય કે નોકરી કે સ્પૉર્ટ્સ કે બિઝનેસ કે ઘરકામ કે સેવાકાર્યો.

આ તો વાત થઈ ભૂલવાની. બીજી એક વાત યાદ રાખવાની છેઃ ઈશ્વરનો સતત સહવાસ. કારણ? કારણ કે પરમાત્મા પરમ પ્રેરણાનો, અખૂટ ઊર્જાનો સ્રોત છે. ભગવાન તમારી સાથે હશે તો વિજય નિશ્ચિત છે. મહાભારતમાં જયદ્રથનો વધ કરી અર્જુન છાવણીમાં પરત ફર્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એમને શાબાશી આપી. તે વખતે અર્જુન કહે છેઃ પ્રભુ જેની પડખે ઊભા હોય તેના વિજયમાં શું આશ્ચર્ય છે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)