સાધુ જ્ઞાનવત્સલદાસ: જેવા છીએ તેવા જ સારા…

મે, આપણે સૌએ બાળપણમાં આ સવાલ સાંભળ્યો હશે એનો જવાબ પણ આપ્યો હશે. એ સવાલ એટલે, મોટા થઈને તમારે શું બનવું છે? અથવા મોટા થઈને કોના જેવા બનવું છે?

વર્ષો પહેલાં આ સવાલ અમેરિકાની એક શાળાના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યો ત્યારે જવાબમાં શિક્ષક સામે સેલિબ્રિટીઓના નામો ફેંકાવા લાગ્યાં. પોતાની પ્રેરણામૂર્તિની જાહેરાત કરતાં તેઓનાં નાજુક, નમણા મુખારવિંદ પર એક અલગ ચમક જણાતી હતી. આ બધા કોલાહલ વચ્ચે ક્લાસમાં એક બાળકને શાંત બેઠેલો જોઈ શિક્ષકે કુતૂહલવશ તેને પૂછ્યું, ‘હેન્રી, તું કેમ શાંત છો? તારે મોટા થઈને કોના જેવા બનવું છે?’

-અને એ નાનકડા બાળકના ઉત્તરમાં છુપાયેલા ગૂઢાર્થથી શિક્ષક અવાક્ થઈ ગયા. હેન્રીએ કહ્યું, ‘સર, આઈ વૉન્ટ ટુ બિકમ મી’ અર્થાત્ ‘મારે મોટા થઈને હેન્રી જ બનવું છે.’

એ બાળક એટલે વિશ્વનો મહાન લેખક, ચિંતક, કવિ અને ફિલૉસૉફર હેન્રી ડેવિડ થૉરો.

કહેવાનું તાત્પર્ય એ કે પોતાના અસ્તિત્વ પર સેલિબ્રિટીના મુખવટા ચઢાવવામાં વ્યક્તિ પોતીકી, સ્વતંત્ર ઓળખ ગુમાવી બેસે છે. હા, મહાન પુરુષોના સદગુણમય જીવનમાંથી પ્રેરણા જરૂર લેવી જોઈએ, પણ માત્ર કોઈનાં પદ-પ્રતિષ્ઠા કે માન-મોભો જોઈ, તેના વ્યક્તિત્વને પોતાના અસ્તિત્વ પર સવાર ન થવા દેવાની વાત છે. આ દુનિયામાં ભગવાને દરેક વ્યક્તિને અજોડ બનાવી છે.

આજે જે આંકડો ચર્ચામાં છે એ દુનિયાની આઠ અજબની વસ્તીમાં કોઈ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટસ સમાન નથી, આંખોની આઈસીસ સમાન નથી, કે અવાજના આરોહ-અવરોહ સરખા નથી. વળી વ્યક્તિ-વ્યક્તિની પ્રકૃતિ,સ્વભાવો, બુદ્ધિક્ષમતા, કળા, આવડત, રસ, મૌલિકતા, યાદશક્તિ વગેરેનું વૈવિધ્ય તો ખરું જ. આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિને ભગવાને એક અજોડ પોતીકી ઓળખ આપી છે. પછી શા માટે આપણે ભગવાનની આ અજોડ બક્ષિસને અવગણીને બીજાની જિંદગી જીવવા માંગીએ છીએ. આપણે જેવા છીએ તેવા હોવાનો ગર્વ હોવો જોઈએ. બીજાની નકલ કરવામાં દંભ છે અને એવું દંભી જીવન પોકળ હોય છે.

જગતને આઈફોન અને એનાં જેવાં ગેજેટ્સની ભેટ આપનારા 21મી સદીના મહાન ટેક્નોક્રેટ સ્ટિવ જૉબ્સે એક વાર કહેલું કે ‘તમારી પાસે સમય બહુ મર્યાદિત છે. બીજાની જિંદગી જીવવામાં એને વેડફશો નહીં.’

પોતાના ગુરુ યોગીજી મહારાજના દેહત્યાગ પછી બી.એ.પી.એસ. સંસ્થાના ગુરુપદે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આવ્યા તે સમયની વાત છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રકૃત્તિ સહેજ  ગંભીર, શાંત અને સ્થિર. એક વ્યક્તિએ એમને સૂચન કરતાં કહ્યું કે ‘તમે યોગીજી મહારાજના સ્થાને આવ્યા છો તો તમારે હવે યોગીજી મહારાજની જેમ વર્તવું પડશે.’

તે સમયે સ્વામીજીના નિર્દંભ વ્યક્તિત્વમાંથી નીકળેલો પ્રત્યુત્તર આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. એમણે કહ્યું, ‘એ યોગીજી મહારાજની રીત હતી. મારી તેવી રીત નથી એટલે હું શું યોગીબાપાની નકલ કરું? હું જેવો છું તેવો છું, મને કોઈની નકલ કરતાં નથી આવડતું, મારામાં જે ન હોય તે ઊપજાવીને કરવાનું મને ન ફાવે.’

અમેરિકાનાં તમામ વર્તમાનપત્રોની રવિવાર આવૃત્તિનું એક મંડળ છે. આ ઍસોસિએસનના તત્કાલીન અધ્યક્ષ અને ફિલાડેલ્ફિયા ઈન્કવાયરરના તંત્રી રોનાલ્ડ પટેલે ૧૯૯૮ના સપ્ટેમ્બરમાં એડિસનમાં હકડેઠઠ ભરેલી સભાને સંબોધતા કહ્યું હતું કે ‘એક જર્નલિસ્ટ તરીકે મેં પ્રમુખસ્વામી મહારાજને કેટલાય અટપટા પ્રશ્નો પૂછ્યા. પરંતુ બધી જ વખતે બધા જ પ્રશ્નોના ઉત્તરમાં જે વસ્તુ બહાર ઊઠી આવી છે, તે છે પ્રમુખસ્વામીના આત્માની પવિત્રતા, નિર્મળતા. તમે એમને ગમે ત્યારે પ્રશ્ન પૂછો, ગમે તે પ્રશ્ન પૂછો, ઉત્તર એકદમ પવિત્ર. ઉત્તરોમાં પ્રસિદ્ધિનો આશય નહીં વર્તનમાં કે વાણીમાંય આડંબરનો અંશ નહીં. બનાવટનું મહોરું નહીં. એટલે જ એમના જીવનનું સત્ય સૌને પ્રભાવિત કરે છે.’

જેમને સત્ય અને અસત્ય એવા બે મહોરાં નથી એમને ખાનગી કે જાહેર જીવનની ચિંતા નથી. તે નિર્ભય અને નિ:શંક થઈને જિંદગીનો ઉલ્લાસ માણી શકે છે. અને કોઈનું મહોરું પહેરવાનો પ્રયત્ન કરનારની દશા કરુણ થઈ જાય છે. માટે ભગવાને આપણને જે અજોડ ઓળખ આપી છે તેને શોધીએ, જાણીએ અને તે અનુસાર આગળ વધીએ તેમાં જ શાણપણ રહેલું છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)