હઠીલા રોગોની એક જડીબુટ્ટીઃ આસ્થા

થોડા સમય પહેલાં બેંગલોરની એક પ્રખ્યાત હૉસ્પિટલમાં મારું વક્તવ્ય હતું. વક્તવ્ય બાદ એક ડૉક્ટર મને મળવા આવ્યા. એ કહે, ‘તમે આસ્થાની વાત કરી, પણ હું તો ઈશ્વરમાં માનતો નથી. તો, એનું શું?’

મેં એમને કહ્યું કે, ‘આજે મેડિકલ મૅનેજમેન્ટ, હેલ્થગુરુ બધા શ્રદ્ધાની વાત કરે છે. કેમ કે બધી સફળતાથી સંતોષ મળે એ જરૂરી નથી. સફળ વ્યક્તિની આત્મહત્યાના દાખલા દેશ-દુનિયામાં જોવા મળે છે. સક્સેસ સાથે સેટિસ્ફેક્શન પણ જરૂરી છે. માટે શ્રદ્ધા જરૂરી છે. એમને મારી વાત ગળે ઊતરી કે નહીં એ તો ખબર નથી, પણ સંવાદ દરમિયાન મને ડૉ. બર્ની સીગલ લિખિત ‘પીસ લવ ઍન્ડ હીલિંગ’ પુસ્તક યાદ આવી ગયું. એક ડઝન જેટલાં પુસ્તક લખનાર 89 વર્ષી આ અમેરિકન ડૉક્ટર સતત કહેતા રહે છે કે પેશન્ટની ટ્રીટમેન્ટમાં પ્રાર્થનાનું એલિમેન્ટ ઉમેરો. કેન્સર જેવા હઠીલાં દરદથી પીડાતા દર્દીઓ માત્ર પ્રાર્થનાથી, ઈશ્વરી ચમત્કારથી સાજા થયાના પ્રસંગ ડૉક્ટરે પુસ્તકમાં નોંધ્યા છે, પ્રાઈમ ટાઈમ ટીવી પર એ દર્દીને રજૂ કરી એમના અનુભવ જાણ્યા છે.

હાલ જેમનો જન્મશતાબ્દી મહોત્સવ ઊજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે એ બીએપીએસના પાંચમા આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો આ પ્રસંગ આસ્તિક-નાસ્તિક વિશેના સઘળા સંશય દૂર કરી દે એવો છે. થોડાં વર્ષ પહેલાં પૂજ્ય સ્વામીજીને મળવા નામાંકિત ઑસ્ટ્રેલિયન ડૉક્ટર નેવિલ હેકર આવેલા. ઔપચારિક વાતચીત બાદ સ્વામીજીએ સહજ પૂછ્યું, ‘તમે ચર્ચમાં જાઓ છો?’

ડૉક્ટર મીઠું મલકતાં કહેઃ ‘ના સ્વામી, મારી હૉસ્પિટલ એ જ મારું ચર્ચ છે.’

જવાબ સાંભળી સ્વામીજીએ એમનો હાથ ઝાલતાં કહ્યું, ‘ભલે. પણ અઠવાડિયે એક વાર ચર્ચમાં જવાનું રાખજો.’

આ વાત ડૉક્ટરને ખાસ ગમી ન હોય એવું એમના ચહેરાના પરથી લાગ્યું એટલે સ્વામીજીએ એમને બીજો સવાલ કર્યોઃ ‘ડૉક્ટર, ક્યારેક જટિલ ઑપરેશન સારી રીતે પાર પડે અને તમે આનંદિત થઈ જાઓ એવું બને?’

ડૉક્ટર કહે, ‘હા. અવશ્ય આનંદ થાય.’

સ્વામીજીઃ ‘અચ્છા… ક્યારેક સરળ ઑપરેશન હોવા છતાં પેશન્ટનું મૃત્યુ થઈ જાય એવું બને?’

ડૉક્ટરઃ ‘હા, ક્યારેક એવું બની જાય.’

સ્વામીજીઃ ‘ક્યારેક કોઈ દર્દીની સારવાર લાંબી ચાલે એવું પણ બનતું હશે.’

ડૉક્ટરઃ ‘જી, બિલકુલ.’

આ સંવાદ કઈ દિશામાં જઈ રહ્યો છે એ ડૉક્ટરને સમજાતું નહોતું. એમની દ્વિધા સમજી સ્વામીજીએ મંદ સ્મિત વેરતાં કહ્યું, ‘સફળ કે નિષ્ફળ સર્જરીમાં, દર્દી સાજો થાય કે ન થાય, જલદી થાય કે લાંબા સમય બાદ, દરેક પરિસ્થિતિમાં તમારી સ્થિરતા બહુ જરૂરી છે, બરાબરને?’

આ સાંભળી સ્વામીજીનો હાથ પકડતાં ડૉક્ટરે કહ્યું, ‘સ્વામી, આ જ સવાલનો જવાબ હું વર્ષોથી શોધું છું. ગમે તે સિચ્યુએશનમાં મેન્ટલ સ્ટેબિલિટી આવે કઈ રીતે?’

સ્વામી કહે, ‘જવાબ આ છેઃ ઈશ્વર કહે છે કે કર્મ કરવું તમારી ફરજ છે. પેશન્ટને બચાવવા તમારાથી બને એ બધું કરો. અંતિમ પરિણામ હું નક્કી કરીશ. એ મારી પર છોડી દો. તમે ગમેતેટલો પ્રયત્ન કરો, પણ ઑપરેશન ટેબલ પર પડેલી વ્યક્તિની આવરદા જ ખૂટી ગઈ હોય તો? એવું પણ બને કે ઈશ્વરે જ નિમિત્ત ઊભું કર્યું હોય એના માંદા પડવાનું, એને પોતાની પાસે બોલાવી લેવાનું.’

સ્વામીજીની વાત સાંભળી ડૉક્ટર નેવિલ સ્તબ્ધ થઈ ગયા. એમના મોંમાંથી માત્ર એટલા જ શબ્દ નીકળ્યાઃ ‘આઈ મસ્ટ ટેક ધિસ વિથ મી.’

બસ, વાત આ જ છે. જીવનમાં તમારે જે કામ કરવાનાં છે એ માટે અથાગ પરિશ્રમ કરો, તમારી તમામ બુદ્ધિશક્તિ વાપરો અને રાતે સૂતાં પહેલાં બે હાથ જોડી ઈશ્વરને પ્રાર્થના કરોઃ હે પ્રભુ, મેં મારાથી બનતા બધા પ્રયાસ કર્યા. હવે જે પરિણામ આવશે મને મંજૂર છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)