Home Blog Page 886

કોરોનાની લહેરઃ પાંચ દિવસમાં 1700 કેસ, સાત દર્દીઓનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં કોવિડના 1700 નવા કેસ સામે આવ્યા છે અને હવે કુલ સંખ્યા 2700ને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ 30 મે સુધી દેશમાં કુલ 2710 કેસ નોંધાયા છે. તેની સામે, એક અઠવાડિયા પહેલાં માત્ર 752 કેસ હતા. કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

દેશના અલગ-અલગ રાજ્યોની વાત કરીએ તો આ રાજ્યઓમાં નીચે મુજબના કેસ નોંધાયા છે: આંધ્ર પ્રદેશ-16,અરુણાચલ પ્રદેશ- 3, આસામ- 2, ચંડીગઢ- 1, છત્તીસગઢ- 3,દિલ્હી- 294, (મહિલા દર્દીનું મોત), ગોવા- 7, ગુજરાત- 223, હરિયાણા- 20, જમ્મુ-કાશ્મીર- 4, કર્નાટક- 148, કેરળ- 1147, મધ્ય પ્રદેશ- 10, મહારાષ્ટ્ર- 424, મિઝોરમ- 2, ઓડિશા- 5, પુડુચેરી- 35, પંજાબ- 4, રાજસ્થાન- 51, તામિલનાડુ- 148, તેલંગાણા- 3, ઉત્તરાખંડ- 2, ઉત્તર પ્રદેશ- 42 અને પશ્ચિમ બંગાળ- 116.

કયાં રાજ્યોમાં કેસો વધી રહ્યા છે

ઘણાં રાજ્યોમાં સક્રિય કેસો વધ્યા છે, જેમ કે કેરળ (+355), મહારાષ્ટ્ર (+153) અને દિલ્હી (+24)  તેમ જ, કેટલાંક રાજ્યોમાં મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, જેમ કે મહારાષ્ટ્ર (+4) અને કર્નાટક (+1).

કયાં રાજ્યોમાં સૌથી વધુ મોત થયાં છે (પ્રથમ લહેરથી અત્યાર સુધી)

  • મહારાષ્ટ્ર: 1,48,606
  • તામિલનાડુ: 38,086
  • કર્નાટક: 40,412

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલ કહે છે કે હાલમાં કોવિડના વધતા કેસોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાંથી લેવામાં આવેલા નમૂનાઓના જિનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે કોવિડ-19 ના નવા પ્રકારો ગંભીર નથી. અને આ ઓમિક્રોન સબ વેરિઅન્ટ છે.

World No Tobacco Day: શા માટે ઉજવવામાં છે આ દિવસ?

તમાકુ એક એવી વસ્તુ છે કે વ્યક્તિ તેને હાથથી ખરીદે છે, ફૂંકે છે અથવા ચાવે છે અને ખાય છે. બીડી, ગુટખા, સિગારેટ, ઝરદા, પાન મસાલાના રૂપમાં વેચાતો તમાકુ ફક્ત વ્યક્તિના શરીરને ખોખલો જ નથી કરતો, પરંતુ તે એક સુખી પરિવારનો પણ નાશ કરે છે. આવી સ્થિતિમાં લોકોને તેના વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ દિવસનો ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World no tobacco day)ના ઇતિહાસ વિશે વાત કરીએ તો વર્ષ 1987 માં વિશ્વ આરોગ્ય સંગઠને પ્રથમ વખત આ દિવસ ઉજવવાની પહેલ કરી હતી. તે સમય દરમિયાન વિશ્વ તમાકુ નિષેધ દિવસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વૈશ્વિક સ્તરે તમાકુથી થતા નુકસાન વિશે જાગૃત કરવાનો હતો. ઉપરાંત, લોકોને તમાકુનું સેવન કરવાથી અટકાવવાનો હતો. તમને જણાવી દઈએ કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 07 એપ્રિલ 1988 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. જોકે, સમય જતાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે 31 મે ના રોજ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવશે.

થીમ

દર વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે એક ખાસ થીમ રાખવામાં આવે છે. આ વખતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ ‘Bright Products. Dark Intentions. Unmaking the Appeal’છે.

ઉદ્દેશ

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારને તમાકુ નિયંત્રણ નીતિ બનાવવા માટે પ્રેરણા આપવાનો છે.

લોકોને તમાકુનું વ્યસન છોડવા માટે પ્રોત્સાહિત કરવા.

યુવાનોને તમાકુના વ્યસનથી બચાવવા માટે સમાજ સાથે વાતચીત કરવી.

આયોજન એકદમ ચોક્સાઈભર્યું કરો, પણ….

હું ફાઇનાન્શિયલ પ્લાનર હોવાના નાતે અલગ અલગ લોકો કેટલાક સામાન્ય પ્રશ્નો વારંવાર પૂછતા હોય છેઃ નિવૃત્તિ વખતે મારી પાસે કેટલું ભંડોળ હોવું જોઈએ? સારામાં સારું મ્યુચ્યુઅલ ફંડ કયું? આપણા અર્થતંત્રની હાલની સ્થિતિ વિશે તમને શું લાગે છે? અત્યારે રોકાણ કરવા માટે સૌથી વધુ સારું સાધન કયું? કાનૂની રીતે લાગુ પડે એવી વસિયતનામું કેવી રીતે બનાવવું? આવા સવાલોના જવાબ આપવાનું સાવ સહેલું નથી. દરેકને એની પરિસ્થિતિ અનુસાર જવાબ આપવાના હોય છે. બધાને લાગુ પડે એવા જવાબ ઘણા ઓછા હોય છે. એમાંય મોટી વાત તો એ છે કે ફાઇનાન્શિયલ પ્લાનરને પણ આ જગતના પાલનહારના પ્લાન વિશે કંઈ ખબર હોતી નથી. આથી ચોક્કસ જવાબ આપવાનું શક્ય હોતું નથી.

આયોજન એકદમ ચોક્સાઈભર્યું કરો, પણ તેના પરિણામની ચિંતા કરવાને બદલે એ વાત ભગવાન પર છોડી દો.

જો અને તોનું મહત્ત્વ

તમે સારામાં સારું નાણાકીય આયોજન કર્યું હોય, પરંતુ જીવનની વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આયોજનના અમલમાં ઘણા ‘જો’ અને ‘તો’ આવતા હોય છે. આખરે તો બધું ‘બિગ બોસ’ – ઈશ્વરનું ધાર્યું જ થાય છે. જોકે, તેનો અર્થ એવો નથી કે આપણે નાણાકીય આયોજન કરવું જોઈએ નહીં. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આયોજન કરવાનું આપણા હાથમાં છે અને આપણો અધિકાર છે. તેનો અમલ અને નિયમિતપણે સમીક્ષા પણ આપણે જ કરવાનાં હોય છે, પરંતુ તેનું પરિણામ આપણા હાથની વાત નથી. એ તો ઈશ્વર જ નક્કી કરશે.

અહીં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો અતિ પ્રચલિત ૪૭મો શ્લોક ધ્યાનમાં આવે છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि || 47 ||

આપણી સર્વાંગી સંપત્તિ

સંપત્તિનાં ખરાં ફળનો આનંદ માણવા માટે આપણે સર્વાંગી સંપત્તિનો વિચાર કરવો રહ્યો. ભગવાને આપણને અલગ અલગ પ્રકારની સંપત્તિ આપી છે. પહેલી છે શારીરિક સંપત્તિ એટલે કે આપણું આરોગ્ય. બીજી સંપત્તિ એટલે સામાજિક સંપત્તિ, જેમાં સમાજ, પરિવાર, મિત્રો, સહયોગીઓ, વગેરે સાથેના આપણા સંબંધોની વાત છે અને ત્રીજી છે ભાવનાત્મક સંપત્તિ, જે આપણા મન પર આધારિત છે. ચોથી સંપત્તિ આર્થિક સંપત્તિ હોય છે. આ ચારે પ્રકારની સંપત્તિનો સમન્વય, સુમેળ થવો જરૂરી છે. તેમાંથી એક પણ ગેરહાજર હશે તો બાકીની ત્રણ સંપત્તિનો આનંદ નહીં આવે.

શાસ્ત્રોમાં સંપત્તિની વ્યાખ્યા આપણી નજરમાં છે તેના કરતાં ઘણી ઉંડી છે. આપણે બૃહદ્ ચિત્રને ભૂલી જઈને ફક્ત નાણાકીય સંપત્તિ પાછળ દોડ્યે રાખીએ છીએ. તેને કારણે દુઃખ આપણો પીછો છોડતું નથી. આપણી દૃષ્ટિ વિશાળ બને અને આપણે ઈશ્વરે આપેલી સંપત્તિનો વિચાર કરીએ તો માનસિક શાંતિ અનુભવાશે. મન પ્રસન્ન બનશે. તમે ક્યાંક ફરવા ગયા હો ત્યાંના કુદરતી સૌંદર્યને જોઈને તમને થયેલો હર્ષ યાદ કરો. પ્રભુએ રચેલા આ અદભુત વિશ્વને નિહાળીને આપણામાં નમ્રતા, અહોભાવ જાગે છે અને તેને પગલે મનમાં શીતળતા અને પ્રસન્નતા જન્મે છે. આયોજન એકદમ ચોક્સાઈભર્યું કરો, પણ તેના પરિણામની ચિંતા કરવાને બદલે એ વાત ભગવાન પર છોડી દો. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દૃઢ બનાવતાં જાઓ. આપણે બીજું કરી પણ શું શકીએ છીએ?

હું એ કરીશ જે તું કરી શકતો નથી

મત્સ્યભેદનની પાછલી રાતે થયેલો કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ખરેખર રસપ્રદ છેઃ

કૃષ્ણઃ હે અર્જુન, તું પાણીના કુંડ નજીક જાય ત્યારે આંખો બંધ કરીને ચિત્તને શાંત કરજે.

અર્જુનઃ સારું

કૃષ્ણઃ ત્યાર બાદ તુલા પર ચડીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરજે.

અર્જુનઃ સારું

કૃષ્ણઃ પછી મનને શાંત કરીને લક્ષ્ય લેજે.

અર્જુનઃ સારું

કૃષ્ણઃ લક્ષ્ય લીધા બાદ તીર ચલાવજે.

અર્જુનઃ આ બધું હું કરીશ તો તમે શું કરશો?

કૃષ્ણઃ તું જે કરી શકતો નથી એ હું કરીશ.

અર્જુનઃ હું જગતનો ઉત્તમ બાણાવળી છું. એવું તે શું છે જે તમે કરી શકશો, પણ મારાથી નહીં થાય?

કૃષ્ણઃ તું લક્ષ્ય વીંધતો હશે એ વખતે હું કુંડમાં પાણીને સ્થિર રાખીશ, જે તું નહીં કરી શકે.

આ સંવાદ પરથી કહી શકાય કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી. આપણા માટે જે ઉત્તમ છે એ જ ભગવાન કરશે. આથી ધીરજ પણ રાખવી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

શશિ થરુરે ફરી ભારતને કૂટનીતિક જીત અપાવી

નવી દિલ્હીઃ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને વિરોધ દર્શાવનાર કોલંબિયાના સૂર હવે બદલાઈ ગયા છે અને તેણે પાકિસ્તાનને સમર્થન આપતું નિવેદન પાછું ખેંચી લીધું છે. તેને ભારતની કૂટનીતિ અને શશિ થરૂરની આક્રમકતાની જીત તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે જે કોલંબિયા ગઈ કાલે સુધી પાકિસ્તાન માટે સંવેદના વ્યક્ત કરી રહ્યું હતું, એ આજે ભારતના સમર્થનમાં ઊભી રહ્યું છે.

અસલમાં, સર્વપક્ષી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કોલંબિયાના સંવેદનાશીલ નિવેદન પર ‘નિરાશા’ વ્યક્ત કરી હતી. ભારતે પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપતાં સાત મેએ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળા કાશ્મીરમાં  નવ આતંકી ઠેકાણાં, તેમનાં મુખ્ય મથકો અને લોન્ચ પેડને નિશાન બનાવ્યાં હતાં. ભારતની આ જવાબી કાર્યવાહીમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જેના પછી કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

કોલંબિયાએ નિવેદન પાછું ખેંચ્યું
શશિ થરુરે કહ્યું હતું કે કોલંબિયાની ઉપ વિદેશમંત્રી રોજા યોલાંડાએ ખૂબ જ ગૌરવભર્યા અંદાજમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમારી ચિંતા વ્યક્ત કર્યા બાદ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન કોલંબિયાએ પાછું ખેંચી લીધું છે. આ મુદ્દા પર કોલંબિયા હવે આપણા અભિગમને સંપૂર્ણ રીતે સમજે છે.  ખરેખર ખૂબ મહત્વની વાત છે.

સનીની ‘અર્જુન’ ની સ્ક્રિપ્ટ પહેલાં એક ગીત તૈયાર હતું

નિર્દેશક રાહુલ રવૈલની ફિલ્મ ‘અર્જુન’ (1985) ની સ્ક્રિપ્ટ નક્કી થાય એ પહેલાં જ એક ગીત તૈયાર થઈ ગયું હતું. એમાં એસટી બસના દ્રશ્યો રાજ કપૂરના સૂચનથી આવ્યા હતા. ફિલ્મ સાથે સંકળાયેલી આવી અનેક રસપ્રદ વાતો રાહુલે પોતાના પુસ્તકમાં યાદ કરી છે. સની દેઓલ સાથેની ‘બેતાબ’ નું છેલ્લું શુટિંગ શિડ્યુલ ચાલી રહ્યું હતું ત્યારે નિર્માતા મોરાની બંધુઓએ એ ટીમ સાથે જ બીજી એક ફિલ્મનું નિર્માણ કરવાનું ગોઠવ્યું હતું. એ માટે લેખક જાવેદ અખ્તરે ‘બેટે’ નામથી બે ભાઇઓની વાર્તા સંભળાવી હતી અને સનીના ભાઈ તરીકે કુમાર ગૌરવનો વિચાર થયો હતો. કુમારે ના પાડ્યા પછી ઋષિ કપૂરને રાજી કરવામાં આવ્યા હતા.

ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલતું હતું ત્યારે સંગીતકાર રાહુલ દેવ બર્મને એક પોર્ટુગીઝ ગીતનો સંદર્ભ લઈ ધૂન બનાવીને બધાને સંભળાવી. એ ગીત ‘મામમૈયા કેરો મામા’ બધાને પસંદ આવ્યું અને એવું નક્કી કર્યું કે ફિલ્મમાં એક સ્થિતિ ઊભી કરીને બંને ભાઈઓ પર ફિલ્માવવું. સ્ક્રિપ્ટ હજુ તૈયાર થઈ ન હોવા છતાં શૈલેન્દ્ર સિંઘના સ્વરમાં ગીતનું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. જ્યારે સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ ત્યારે લાગ્યું કે એ બરાબર નથી. બીજી કોઈ વાર્તા વિચારવી પડશે. રાહુલે આ વાતની જાણ ઋષિ કપૂરને કરી ત્યારે એમણે કહ્યું હતું કે ફિલ્મમાં હું હોઉં કે ના હોઉં પણ મારો સહયોગ તમારી સાથે રહેશે. તમે એક કામ કરજો કે જે પણ સ્ક્રિપ્ટ નક્કી થાય એમાં ‘મામમૈયા કેરો મામા’ ગીત જરૂર સામેલ કરજો. ફિલ્મ બની ત્યારે કુલ ચાર જ ગીતો હતા અને ઋષિ કપૂરની આગાહી મુજબ ‘મામમૈયા કેરો મામા, દુનિયા બુરા માને તો ગોલી મારો, દુશ્મન કો યે બતા દો દુશ્મની હૈ ક્યા’ ગીત ફિલ્મ ‘અર્જુન’ ની ઓળખ બની રહ્યું હતું.

 

વાર્તા નક્કી કરવામાં ઘણા મહિના નીકળી ગયા હતા. થોડા સમય પછી જાવેદ અખ્તર અને રાહુલ એક હોટલમાં યુવાનોની બેરોજગારીની ચર્ચા કરતાં હતા ત્યારે એક અખબારમાં બે ગેંગના સમાચાર વાંચી વાર્તા સૂઝી હતી. જે રાહુલને પસંદ આવી હતી. રાહુલે એ વાર્તા રાજ કપૂરને સંભળાવી અને એમને પસંદ આવી હતી. એમણે રાહુલને જૂની માન્યતાઓ ત્યજી નવી દ્રષ્ટિએ ફિલ્મ બનાવવા સૂચન કર્યું હતું. એના પર કામ શરૂ કરવામાં આવ્યું અને મુંબઈની પૃષ્ઠભૂમિ નક્કી કરવામાં આવી. પાત્રને વાસ્તવિક ગણાવવા નામ સાથે અટક રાખવામાં આવી હતી. સામાન્ય રીતે ત્યારે પાત્રોના ફક્ત નામ જ રાખવામાં આવતા હતા અટક અપાતી ન હતી.

રાહુલે સનીનું નામ ‘અર્જુન માલવણકર’ રાખ્યું. ‘શિવકુમાર’ ના પાત્ર માટે એવા કલાકારની જરૂર હતી જેના માટે કોઈ કલ્પના ના કરી શકે કે અસલમાં એ વિલન હોય શકે છે. રાહુલે થોડા દિવસ પહેલાં જ મહેશ ભટ્ટની ‘સારાંશ’ જોઈ હતી અને એમની પસંદગી કરી લીધી હતી. જ્યારે ફિલ્મ તૈયાર થઈ ગઈ અને રાજ કપૂરને બતાવવામાં આવી ત્યારે એમણે અનુપમ ખેરનો સાચો ચહેરો બહાર આવે છે અને રહસ્ય ખૂલે છે કે એણે સનીનો ઉપયોગ કર્યો હતો એ દ્રશ્ય પર ફિલ્મ અટકાવીને વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મેં આવું વિચાર્યું ન હતું. વાર્તામાં આ જબરદસ્ત વળાંક છે.

(ફિલ્મ ‘અર્જુન’ માં ડિમ્પલ કાપડિયા કેવી રીતે આવી અને એની ભૂમિકા ન રાખવાનું કેમ વિચારાયું એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં.)

ગુલકંદ – ૩૧ મે ૨૦૨૫

ચીઝી પનીર બાટી

બાટીનો જ પ્રકાર! પણ ચીઝી… પનીરવાળી યમ્મી! વળી તળ્યા વગરની!!! તો હેલ્ધી પણ હોય જ!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1 કપ
  • બારીક રવો 3 ટી.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો ½ ટી.સ્પૂન

પૂરણ માટેઃ

  • પનીર 200 ગ્રામ
  • મોઝરેલા ચીઝ 4 ટે.સ્પૂન
  • ચીઝ ક્યુબ 1
  • લીલા મરચાં 2
  • કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • બાફેલા મકાઈના દાણા 3 ટે.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન
  • પિઝા સિઝનિંગ 2 ટે.સ્પૂન
  • નાનું ટામેટું 1
  • સિમલા મરચું 1
  • સમારેલી કોથમીર 4 ટે.સ્પૂન

રીતઃ ઘઉંના લોટમાં રવો, મીઠું સ્વાદ મુજબ, અજમો મેળવીને ઘીનું મોણ આપો. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને પુરી જેવો લોટ બાંધીને તેની ઉપર ભીનો રૂમાલ ઢાંકીને 10 મિનિટ રહેવા દો.

બાટીનું પૂરણ તૈયાર કરવા માટે એક વાસણમાં પનીર તેમજ ચીઝ ક્યુબ ખમણી લો. તેમાં મોઝરેલા ચીઝ મેળવી દો. સ્વાદ મુજબ મીઠું, આદુ ખમણીને અને મરચાં સમારીને તેમજ ટામેટું અને સિમલા મરચું ચોરસ નાના ટુકડામાં સમારીને ઉમેરી દો. બાદમાં કાળા મરી પાઉડર, ચાટ મસાલો, બાફેલા મકાઈના દાણા, ચિલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ, સમારેલી કોથમીર મેળવીને પૂરણ તૈયાર કરી લો.

બાંધેલા લોટમાંથી મોટો લૂવો લઈ તેને હાથેથી થોડો થાપીને વાટકીનો આકાર આપી દો. કિનારીવાળો ભાગ પાતળો અને વચ્ચે થોડું જાડું પડ રાખવું. તેમાં વચ્ચે 1થી 2 ચમચી જેટલું પૂરણ અથવા તેમાં આવે તેટલું ભરીને ચારેકોર કિનારી ભેગી કરીને પેક કરીને ગોળો વાળી દો. ઉપરના ભાગમાં ચમચીના હાથા વડે ક્રોસ પાડી દો. જેથી ડિઝાઈન સારી પડે અને બાટી સારી શેકાય જાય.

બાટી શેકવા માટે અપ્પે પેનનો ઉપયોગ કરી શકાય તેના ખાનામાં ઘી અથવા તેલ લગાડીને બાટી ગોઠવીને પેન ઢાંકી દો. ગેસની ધીમી-મધ્યમ આંચે 10 મિનિટ બાટી શેકાય એટલે પેન ખોલીને એક ચમચીથી બાટી ઉથલાવી જુઓ. જો નીચેનો ભાગ શેકાયો હોય તો બધી બાટી ઉથલાવીને પેન ઢાંકીને ફરીથી 10 મિનિટ બાટી તૈયાર થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને બાટી ઉતારીને ગરમાગરમ પીરસો.

અપ્પે પેન ન હોય તો કૂકરમાં 500 ગ્રામ જેટલું મીઠું પાથરી તેની ઉપર કાંઠો અથવા સ્ટેન્ડ મૂકીને કૂકરને ગેસ ઉપર 10 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરી દો. ઘી ચોપડેલી થાળીમાં બાટી આવે તેટલી ગોઠવી દો. ગરમ થયેલા કૂકરમાં સ્ટેન્ડ ઉપર આ થાળી મૂકીને કૂકર બંધ કરી દો 4-5 મિનિટ બાદ કૂકર ખોલી જુઓ. જો બાટી શેકાઈ હોય તો બધી બાટી ઉથલાવીને ફરીથી કૂકર બંધ કરીને બાટી સરખી શેકાવા દો. 4-5 મિનિટ બાદ બાટી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરીને કૂકર ઠંડું થાય એટલે બાટી કાઢી લો.

તૈયાર બાટી ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.

 

૩૧ મે ૨૦૨૫

પંચાંગ 31/05/2025

વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રનો GDP FY 24-25માં 7.4 ટકા

નવી દિલ્હીઃ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક સમયમાં દેશની આર્થિક વૃદ્ધિનો દર ઘટીને 7.4 ટકા રહ્યો છે. જે છેલ્લા ચાર ત્રિમાસિકમાં સૌથી વધુ છે. જોકે નાણાકીય વર્ષનો વાર્ષિક વૃદ્ધિદર ઘટીને 6.5 ટકા રહી છે, એમ ડેટા કહે છે.

જાન્યુઆરીથી માર્ચની ત્રિમાસિક વૃદ્ધિ એક વર્ષ પહેલાં સમાન ત્રિમાસિકના ગાળામાં 8.4 ટકા કરતાં ઓછો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ ત્રિમાસિકમાં વૃદ્ધિ ધીમી પડવાથી FY25 માટે GDP વૃદ્ધિદર ઘટીને 6.5 ટકા થયો છે. જો આપણે વિત્ત વર્ષ 2023-24ની વાત કરીએ તો ત્યારે જીડીપી વૃદ્ધિદર 9.2 ટકા હતો.

NSO દ્વારા નેશનલ અકાઉન્ટના બીજા પૂર્વ અનુમાનમાં FY25 માટે દેશની વૃદ્ધિદર 6.5 ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. એશિયાની સૌથી મોટા અર્થતંત્ર ચીનની જાન્યુઆરી-માર્ચ 2025ની ત્રિમાસિક વૃદ્ધિ દર 5.4 ટકા રહ્યો છે.

રિઝર્વ બેંકનો અંદાજ

રિઝર્વ બેંક (RBI)એ પોતાની અગાઉની મોનિટરી પોલિસી બેઠકમાં FY25 માટે જીડીપી વૃદ્ધિદર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જ્યારે માર્ચ ત્રિમાસિક (Q4FY25) માટે કેન્દ્રીય બેંકે 7.2 ટકાની વૃદ્ધિનો અંદાજ આપ્યો હતો.

ચોથું સૌથી મોટા અર્થતંત્ર

આ GDP ડેટા ત્યારે આવ્યો છે જ્યારે મોદી સરકાર ભારતના વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્ર બનવા અંગે દાવો કરી રહ્યો છે. IMFના અંદાજ મુજબ ભારત 2025-26ના અંત સુધીમાં ચોથા સૌથી મોટા અર્થતંત્રનું સ્થાન હાંસલ કરી લેશે.