Home Blog Page 872

બેંગ્લોરમાં ભાગદોડ કેસમાં RCB અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મના અધિકારીઓ પોલીસ કસ્ટડીમાં

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 56 અન્ય ઘાયલ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચ અને બેંગલુરુ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા?

સૂત્રોના જણાવ્યા અનુસાર, RCB માર્કેટિંગ અને રેવન્યુ હેડ નિખિલ સોસાલે, DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સુનીલ મેથ્યુ અને કિરણ કુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી પછીથી કરવામાં આવશે. તેમાંથી કેટલાકને શહેરની બહાર આવેલા કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

FIR પછી કાર્યવાહી

ગુરુવારે RCB, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) વિરુદ્ધ FIR નોંધાયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. બુધવારે સાંજે સ્ટેડિયમની સામે ભાગદોડ મચી હતી, જ્યાં RCB ટીમની IPL જીતની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

બેજવાબદારી અને બેદરકારીના આરોપો

ગુરુવારે અગાઉ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યના DGP અને IGPને RCB અને DNA ઇવેન્ટ મેનેજરો અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના પ્રતિનિધિઓની તાત્કાલિક ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ તેમના તરફથી બેજવાબદારી અને બેદરકારી દર્શાવવામાં આવી હતી. આ પછી FIR નોંધવામાં આવી હતી.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન કોર્ટમાં પહોંચ્યું

આ દરમિયાન કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ના પ્રમુખ રઘુ રામ ભટ અને કેટલાક અન્ય અધિકારીઓએ શુક્રવારે કર્ણાટક હાઇકોર્ટમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ કેસમાં તેમની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી હતી. પોલીસે ગુરુવારે RCB, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ DNA એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) સામે FIR નોંધી હતી.

શું મામલો છે?

બુધવારે સાંજે સ્ટેડિયમની સામે ભાગદોડ મચી હતી, જ્યાં RCB ટીમની IPL જીતની ઉજવણીમાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ ઘટનામાં 11 લોકોનાં મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા.

હાથમાં તિરંગો લઈને PMએ ચિનાબ આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

જમ્મુ-કાશ્મીર: પીએમ મોદીએ શુક્રવારે સવારે 11 વાગ્યે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું.

PM અહીં લગભગ એક કલાક રોકાયા. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બનાવી રહેલા કામદારોને મળ્યા.

આ પછી, PM કટરા રેલવે સ્ટેશન પહોંચશે અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત, તેઓ 46 હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ કટરા સ્ટેડિયમમાં જાહેર સભા પણ કરશે.

વંદે ભારત ટ્રેન આવતીકાલથી શરૂ થશે

ઉત્તરી રેલવે 7 જૂનથી કટરા-શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરશે. ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ પર કરી શકાય છે. કટરા અને શ્રીનગર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ બે ટ્રેન દોડશે.

ઉત્તરી રેલવેએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં બે ટ્રાવેલ ક્લાસ છે. ચેર કારનું ભાડું રૂ.715 અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ.1320 છે. હાલમાં ટ્રેનો ફક્ત બનિહાલ ખાતે જ રોકાશે. અન્ય સ્ટોપેજ અંગેનો નિર્ણય પછી લેવામાં આવશે.

10 કલાકની આ મુસાફરી લગભગ 3 કલાકમાં પૂર્ણ થશે

આઝાદીના 77 વર્ષ પછી પણ હિમવર્ષાની મોસમમાં કાશ્મીર દેશના અન્ય ભાગોથી કપાયેલું રહે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 બંધ થવાને કારણે ખીણ સુધી પહોંચ અવરોધિત છે. આ ઉપરાંત, જમ્મુથી કાશ્મીર સુધી રોડ માર્ગે મુસાફરી કરવામાં 8 થી 10 કલાક લાગતા હતા. ટ્રેન શરૂ થતાં આ યાત્રા લગભગ ત્રણ કલાકમાં પૂર્ણ થશે.

સુસ્ત જીવન : ડિપ્રેસન કે ડિસિપ્લિનનો અભાવ

ઘણીવાર જીવનમાં રુચિ ના લાગવી, કામમાં મન ના લાગવું અને મોબાઈલ પર સતત સ્ક્રોલિંગ કરવું વગેરે જેવી બાબતોને લોકો ડિપ્રેસન સમજવા લાગ્યા છે, છતાં તે અલગ સમસ્યા છે. હતાશા કે આળસ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક ન કરવાનું પસંદ કરે છે, ભલે તે કરી શકે. તેનાથી વિપરીત, ડિપ્રેશન ધરાવતા લોકો આળસુ લાગે છે કારણ કે તેમની અંદરની ઈચ્છાશક્તિ અને આત્મબળ ઓછું હોય છે. આ સમસ્યા ડિપ્રેસન ડિસઓર્ડરના લક્ષણોને કારણે છે. જે એક એવી સ્થિતિ છે જેને પ્રોફેશનલ કાઉન્સેલિંગની જરૂર છે. જયારે માત્ર કારણ વગર આળસ ચડવી એ પ્લાનિંગ કે ડિસિપ્લિન વગરના જીવનના લક્ષણો છે.

જીવનમાં ઘણી વખત કાઉન્સેલિંગ અને કાઉન્સેલર્સ કરતાં માત્ર ડિસિપ્લિનની જરૂર વધુ હોય છે. નિયમિતપણું તમને હતાશામાં ડૂબવા દેતું નથી. ઘણી વાર નાના નાના અને સામાન્ય કામ કરવા ઘણા જરૂરી હોય છે. જે આત્મવિશ્વાસ અને નિયમિતતા જાળવવામાં ખૂબ મદદ કરે છે. નાના ગોલથી મોટી સિદ્ધિઓ આસાન બની જાય છે. જીવનના અદ્ભૂત રહસ્યો પણ નિયમિતતામાં રહેલા છે. નાની નાની આદતો અને દાદી નાનીએ શીખવેલી માન્યતાઓ પાછળ ઘણા કારણો અને લોજીક હોય છે. સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું, વહેલું સૂવું, વગેરે સામાન્ય નિયમો બોડી ક્લોક પર આધારિત હોય છે જે પાચન અને નિદ્રાને નિયંત્રિત કરે છે. ઊંધી દિશાએ ના સૂવું વગેરે જેવી માન્યતાઓ,પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડનો પ્રભાવ પર આધારિત હોય માનસિક જીવનમાં ઘણા ઉપયોગી બને છે.

આ ઉપરાંત પણ ઘણા એવા નજીવા કાર્ય જે અત્યારે આપણે બિલકુલ કરતાં નથી કેમકે તે બહાર કરવા માટે પ્રોફેશનલની મદદ લેવાતી હોય છે. જે તદ્દન લુપ્ત થઇ રહ્યા છે, જેમકે, શર્ટના બટન ટાંકવા, હૂક કે ગાજ કરવા, અનાજ સાફ કરવાં વગેરે,નાના કામો કોન્સન્ટ્રેશન પાવર વધારવામાં ખૂબ ઉપયોગી બને છે.

અટેન્સનને લગતી બીમારીઓ વધાવાનું કારણ આજે એ પણ છે કે આપણે ધીરજથી થતાં કાર્ય કરવાનું ભૂલી રહ્યા છીએ. મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામની રિલ આખી જોઈ શકતા નથી કે એડને સ્કિપ કરવા બેબાક બની જઈએ છીએ. એક સર્વે અનુસાર લોકોનો અટેન્સન સ્પાન જે પહેલા 9 મિનિટનો હતો,જે ઘટીને 6 મિનિટ થઇ ગયો છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક બને છે. કારણ વગર મોબાઈલ સ્ક્રોલ કરી કરીને એક ઇન્ફોરમેશનના ઓવરલોડ સામે ઝઝૂમી,મહત્વના કામો ભૂલવું હવે રોજનું છે. એમાં ભૂખ કે ઊંઘની પણ ખબર રહેતી નથી. જે નિયમિતતા ખોરવે છે. ઘણી વાર અનહદ કાબુ વગરનું જીવન હતાશામાં ફેરવાઈ જાય છે. અરુચિનું કારણ ડિપ્રેસન નહીં પણ ડિસિપ્લિનનો અભાવ છે.

 

નાની નાની બાબતો જેમ કે:

પોતાનું કામ જાતે કરવું.

રાત્રે સૂતાં પહેલા બીજા દિવસનું પ્લાનિંગ.

સોશિયલ મીડિયા માટે મર્યાદિત સમય નક્કી કરવો.

આ રીતે શિસ્ત અને ધીરજભર્યું જીવન આપણે સફળતા તરફ લઈ જાય છે. જ્યારે જીવનમાં નિયંત્રણ હોય છે, ત્યારે આપણે દિમાગી થાક અને વ્યર્થતાની લાગણીમાંથી બચી શકીએ છીએ. નિયમિતતાના આ સૂત્રને પકડીને આપણે આરોગ્ય, આનંદ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવી શકીએ છીએ.

અંતે, દરેક વાર આ વિચાર કરવો જોઈએ કે “શું હું ખરેખર ડિપ્રેસ્ડ છું કે માત્ર નિયંત્રણ વિના જીવતો છું? “કારણ કે ડિપ્રેશનને દવા જોઈએ પણ શિસ્ત, એ તો સ્વનિર્ભર દવા છે,આપણી જ અંદર છુપાયેલી!

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો: લોન સસ્તી થશે, EMIમાં ઘટાડો થશે

મુંબઈ: RBIએ ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે હવે રેપો રેટ 5.50% થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં RBIએ 25 બેસિસ પોઇન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ રેપો રેટ 6.00% એ આવી ગયો હતો. દેશમાં ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 4% થી નીચે રહ્યો છે.  જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.

છેલ્લા છ મહિનામાં RBI દ્વારા રેપો રેટમાં આ સતત ત્રીજીવાર ઘટાડો છે. અગાઉ, આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ એપ્રિલમાં ફરીથી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો.

EMIમાં ઘટાડો થશે 

કેન્દ્રીય બેંકના આ નિર્ણય પછી, કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપો રેટમાં ઘટાડો કરતી વખતે, RBI એ કહ્યું કે આ પગલું દેશના રોકાણકારોને પૂરતી તક પૂરી પાડશે. વૈશ્વિક વિકાસની ધીમી ગતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે. ઉપરાંત, સ્થાનિક માંગ વધુ મજબૂત થશે.

અર્થતંત્રમાં વૃદ્ધિની અપેક્ષા

RBI દ્વારા ત્રીજી વખત રેપો રેટ ઘટાડવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પરના ટેરિફ દરમાં 50 ટકાનો વધારો કર્યો છે. ભારત આ બંને ઉત્પાદનોનો મોટો નિકાસકાર રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ભારત માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

મોંઘવારીમાં રાહત મળશે! 

રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50% ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75% થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25% થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026  માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો (CRR) ને 100 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

50 લાખ રૂપિયાની લોન પર EMI કેટલો ઘટશે? 

ધારો કે તમે 30 વર્ષ માટે બેંક પાસેથી 50 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવી રહ્યા છો, તો તમારી માસિક EMI 40231 રૂપિયા થશે. બીજી તરફ, RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી આ EMI ઘટીને 38446 રૂપિયા થઈ જશે. એટલે કે, માસિક EMIમાં 1785 રૂપિયાનો ઘટાડો થશે.

મુંબઈ: ઝરૂખો કાર્યક્રમમાં ‘શ્રાવણનો પાઠ’ અને ‘નદીષ્ટ’ પુસ્તકો વિશે થશે ચર્ચા

મુંબઈમાં અવાર નવાર ગુજરાતી સાહિત્યિ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. બોરીવલીમાં સાહિત્યરસિકો અને કલાપ્રેમીઓ દ્વારા સમયાંતરે ‘ઝરૂખો’ નામે કાર્યક્રમ યોજાતો હોય છે. જેમાં વિવિધ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવે છે. આગામી 7 જૂન, શનિવારે એટલે કે આવતી કાલે આ કાર્યક્રમ યોજાવાનો છે.

રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે,’અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.’ લાઓ ત્ઝુએ કહ્યું છે,’પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે ‘પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે.

શનિવાર 7 જૂનના રોજ સાંજે 7:20 કલાકે ઝરૂખોની સાહિત્યિક સાંજ, પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, ‘શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ સાથે ભાવકોને પરિચય કરાવશે. ડૉ.હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ ‘શ્રાવણનો પાઠ'(રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે.

બીજું પુસ્તક છે ‘નદીષ્ટ ‘. મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ.ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ.ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન)


આ સાથે જ યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે. સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે આયોજિત કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.

એકાગ્રતા કેળવવા માટે જરૂરી છે આધ્યાત્મિક સાધના

દિલ્હી રજોરી ગાર્ડન સેવાકેન્દ્રમાં મારી મુલાકાત પિતાશ્રી બ્રહ્મા સાથે થઈ. બ્રહ્માબાબાએ મને પ્રેમથી ગળે મળી આવકાર્યો. તે સમયે મને એવી અનુભૂતિ થઈ કે ઘણા સમયથી છૂટા પડેલ સ્નેહી ભાઈએ મને સ્નેહ આપેલ છે. વિદ્યાલયની પહેલી હિન્દી પત્રિકા તે સમયે પ્રકાશિત થઈ હતી. પત્રિકાના લેખોની ગુહ્યતા તથા સ્પષ્ટતાથી હું ખૂબ પ્રભાવિત હતો. જગદીશભાઈ દ્વારા લખાયેલ સાચી ગીતાનું વાંચન કરી ચૂક્યો હતો. બંને પુસ્તકોએ મને ખૂબ પ્રેરણાઓ આપી હતી. આથી હું તેમનો પ્રશંશક તો હતો જ. છતાં તેમને રૂબરૂ મળવાથી મારી ખુશી વધી ગઈ.

1962માં બાબાએ સાહિત્યની સેવા માટે મને લેખક જગદીશભાઈ પાસે મોકલ્યો. તે સમયે બે વર્ષ સુધી તેમની સાથે રહી વિવિધ પ્રકારની ઈશ્વરીય સેવાઓના અનુભવ પ્રાપ્ત કર્યા તથા મેં તેમના ત્યાગી જીવન તથા ધારણાઓથી ખૂબ પ્રેરણાઓ પ્રાપ્ત કરી.

કોઈપણ વ્યક્તિ સાથે કાર્યક્ષેત્રમાં રહીને તેમના જીવનમાં પિતાશ્રી બ્રહ્માબાબાની શ્રીમત દરેક પળે પળે સાકાર થતી જોઈને આપણા મન ઉપર તેનો ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. જગદીશભાઈના જીવનમાં આવી વિશેષતાઓની લાંબી કડી છે. તેઓ તેઓ મહાન જ્ઞાની, મહાન યોગી, મહાન લેખક તથા મહાન પ્રવક્તા હતા. તેમના લેખો દ્વારા જ્ઞાનના ખૂબ ઊંડા રહસ્ય પ્રગટ થયા. જે દ્વારા જિજ્ઞાસુ વ્યક્તિ પણ પરમાત્મા પિતા તરફ આકર્ષિત થઈ જતી હતી. ઘણીવાર તો નામાંકિત વ્યક્તિઓ તેમને મળતા હતા અને ઈશ્વરીય જ્ઞાનની ચર્ચામાં તેમના આત્મિક ગુણોથી પ્રભાવિત થઈને કહી દેતા હતા કે અમે આપનામાં સાક્ષાત ઈશ્વરને જોઈ રહ્યા છીએ.

મારું જ્યારે પણ તેમને મળવાનું થતું હતું ત્યારે જ્ઞાન ચર્ચા જરૂર થતી હતી. એકવાર તેઓએ કહ્યું કે એકાગ્રતા કોને કહેવાય? પછી પોતજ સ્પષ્ટ કર્યું કે કોઈપણ જ્ઞાનની પોઇન્ટ ઉપર નિરંતર ચિંતન કરવું તેને જ એકાગ્રતા કહેવાય. જો તેમાં વચ્ચે વચ્ચે વચ્ચે બીજી કોઈ અન્ય વાત આવી જાય તો તેને કાઢી નાખો. તેઓ એ પણ કહેતા કે જો તમને યોગમાં વિશિષ્ટ અનુભવ થાય અને કોઈ વચ્ચે ખલેલ પાડે, તો તમે તમારા અનુભવોમાં આનંદની સ્થિતિમાં મગન રહો, સામાન્ય કે સાધારણ સ્થિતિમાં ન આવો. માત્ર તેમની પાસે બેસવાથી જ ઊંચી યોગની સ્થિતિનો અનુભવ થતો હતો. તેઓ સ્વાભાવિક રીતે આત્મસ્મૃતિ તથા પરમાત્મ સ્મૃતિની સ્થિતિમાં રહેતા હતા.

શરૂઆતમાં તેઓ દિલ્હીમાં અનેક સ્થાનોની જાણકારી માટે મને સાથે લઈને જતા હતા. તથા કહેતા હતા કે અહીં છપાઈ થાય છે, અહીં બ્લોક બને છે. મોટે ભાગે ચાલતા જ જવાનું થતું હતું. તે સમયે જગદીશભાઈનું ભરાવદાર ખડતલ શરીર હતું. તેઓ ચાલતા હતા અને મારે તેમની સાથે દોડવું પડતું હતું. દરેક કાર્ય તીવ્ર લગન તથા ઉમંગથી સંપન્ન કરતા તેઓએ ઈશ્વરીય જીવનના 50 વર્ષોમાં પોતાનું તન, મન, શ્વાસ, સંકલ્પ બધુંજ વિશ્વ સેવામાં અર્પણ કરી દીધું.
સંસાર રંગમંચ પર આવનાર દરેક પાર્ટધારીએ પોતાનો દેહ તો છોડવો જ પડે છે, એ સનાતન સત્ય છે.

દેહ છોડીને પણ મહામાનવ પોતાની સચ્ચાઈ, નિષ્ઠા, દૂરદ્રષ્ટિ, નિર્ભયતા, અડોલતા, સર્વ પ્રત્યે સાચો આત્મીય સ્નેહ, પવિત્રતા ત્યાગ વિગેરે ગુણોની સૂક્ષ્મ તસવીરને રંગમંચ પર છોડીને જાય છે. જે હંમેશા બીજા માટે પ્રેરણામૂર્તિ બની રહે છે. દ્રષ્ટિથી અદ્રશ્ય થવા છતાં પણ તે મનથી અદ્રશ્ય નથી થતા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

ગુલકંદ – ૦૭ જૂન ૨૦૨૫

૦૬ જૂન ૨૦૨૫

Chitralekha Gujarati – 16 June, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

બેંગલુરુમાં ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી

બુધવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ કેસમાં પોલીસે આઈપીએલ ટીમ આરસીબી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ઇવેન્ટ કંપની ડીએનએ નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ છે.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 105 (હત્યા ન હોય તો પણ જીવ લેવા જેવો ગુનો), કલમ 125 (12) (બીજાઓના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવી), કલમ 142 (ગેરકાયદેસર સભા), કલમ 121 (ગુનામાં ઉશ્કેરણીની ભૂમિકા) અને કલમ 190 (ગેરકાયદેસર સભાના સભ્ય દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે જવાબદારી) હેઠળ એફઆઈઆર નોંધી છે.

એક વકીલ નટરાજ શર્માએ પણ આ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, કેએસસીએ અધિકારીઓ અને આરસીબી ખેલાડીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે તે બધાએ કાર્યક્રમના આયોજન અને ભીડ વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી દાખવી, જેના કારણે આ દુર્ઘટના બની.

ભાગદોડમાં 11 લોકોના મોત, ઘણા ઘાયલ

તમને જણાવી દઈએ કે આ અકસ્માત બુધવારે ત્યારે થયો હતો જ્યારે હજારો લોકો 18 વર્ષ પછી RCB ને IPL ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે સ્ટેડિયમ જવા માટે એકઠા થયા હતા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની વિજય પરેડ યોજાવાની હતી, લોકો તેમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉજવણી દરમિયાન, સ્ટેડિયમની અંદર અને બહાર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ, જેના કારણે અરાજકતા મચી ગઈ. ઘણા લોકો કચડાઈ ગયા અને ડઝનેક ઘાયલ થયા.