નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઇકોર્ટ ના ટ્રાન્ઝિટ બેલના નિર્ણય પર રોક લગાવી છે. આસામ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે પવન ખેડાને નોટિસ જારી કરી છે અને તેમને ત્રણ સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. એ સાથે જ કોર્ટે કહ્યું કે જો પવન ખેડા આગોતરા બેલ માગે છે, તો તેઓ ગૌહાટી હાઈકોર્ટ જઈ શકે છે.
તેલંગાણા હાઈકોર્ટએ કેવી રીતે જામીન આપ્યા?
આસામ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે FIR આસામમાં નોંધવામાં આવી છે, તો તેલંગાણા હાઈકોર્ટે કેવી રીતે જામીન આપ્યા? તેમણે સવાલ કર્યો હતો કે આસામ હાઈકોર્ટમાં કેમ અરજી ન કરી? માત્ર કોઈ પ્રોપર્ટી હોવાને આધારે ક્ષેત્રાધિકાર કેવી રીતે મળે? આ કેસની સુનાવણી જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અટુલ એસ. ચંદુરકરની બેન્ચે કરી.
આસામ સરકારે તેલંગાણા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ માં પડકાર્યો હતો. હાઈકોર્ટે પવન ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ એડવાન્સ જામીન આપ્યા હતા.
મુશ્કેલીઓમાં ઘેરાયા પવન ખેડા
પવન ખેડાએ આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમા અને તેમનાં પત્ની રિન્કી સરમા પર ગંભીર આરોપ લગાવ્યા બાદ મુશ્કેલીઓમાં ઘેરાયા છે. સાત એપ્રિલે આસામ પોલીસ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓ ત્યાં મળ્યા નહોતા. ત્યાર બાદ ખેડાએ તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 10 એપ્રિલે તેમને તાત્કાલિક રાહત મળી હતી.
સીએમ હિમંતાનો જવાબહિમંત બિસ્વા સરમાએ પવન ખેડા પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તેઓ જલદી જ કાયદેસર પગલાં લેશે. આ આરોપોને લઈને રિંકી સરમાએ પવન ખેડા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.





