ગુજરાતમાં મેઘરાજાની બઘડાટી, 224 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ પણ જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વિડિયો કોન્ફરન્સ યોજી તંત્ર દ્વારા કરાયેલા રાહત બચાવ તેમજ સ્થળાંતર અંગે માહિતી મેળવી હતી. બંગાળી ખાડીમાં સર્જયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધવાની સાથે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં 7009 ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી 6977 ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે. 6090 વીજ પોલને થયેલા નુકસાનમાંથી 5961 રીપેર કરી દેવાયા છે. રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા 523 માર્ગો બંધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 17887 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ 63.36 મી..મી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ૩૫૬ મીમી નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ 91.88 ટકા વરસાદ થયો છે.રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે.