RCB મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપશે, ઘાયલો માટે ટીમ ભંડોળ ભેગુं કરશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા 11 ચાહકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

(Photo: IANS)

આરસીબી ફ્રેન્ચાઇઝીએ તેના નિવેદનમાં કહ્યું છે કે સહાય ઉપરાંત, આ દુ:ખદ ઘટનામાં ઘાયલ ચાહકોની મદદ માટે ‘RCB કેર્સ’ નામનું ભંડોળ પણ બનાવવામાં આવી રહ્યું છે. બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. તેમજ 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હકીકતમાં, RCB એ 18મી સીઝનમાં પહેલી વાર IPLનો ખિતાબ જીત્યો. બુધવારે જ્યારે ટીમ અમદાવાદથી બેંગ્લોર પહોંચી ત્યારે ચાહકો ટીમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. ખેલાડીઓનું વિધાન સૌધા અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન થવાનું હતું. વિધાન સૌધા ખાતે સન્માન કાર્યક્રમ પછી ખેલાડીઓ વિજય પરેડ કરીને સ્ટેડિયમ પહોંચવાના હતા. જોકે, ચાહકોની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. વિધાન સૌધાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી લાખો ચાહકો હાજર હતા. તેઓ કોઈપણ રીતે સ્ટેડિયમની અંદર જવા માટે ઉત્સુક હતા. તેઓ ઝાડ, કાર, બસ, ગમે તે ઊંચી વસ્તુ પર ચઢી ગયા. એટલું જ નહીં, ચાહકો સ્ટેડિયમની દિવાલ પર ચઢતા પણ જોવા મળ્યા.

પોલીસે સ્ટેડિયમની બહાર લાઠીચાર્જ કર્યો. ત્યારબાદ સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત અને ઘણા ઘાયલ થયાના અહેવાલો આવ્યા. ત્યારથી, કર્ણાટકની કોંગ્રેસ સરકાર અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ભાજપે સિદ્ધારમૈયા સરકાર પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે, તો કોંગ્રેસે ભાજપ પર આ મામલે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.