રાજસ્થાનમાં CM ચહેરાને લઈને PM મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે રાજસ્થાનની આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી કોઈને પણ મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજૂ કરશે નહીં. પીએમ મોદીએ ‘કમળ’ પ્રતીકને પાર્ટીની આશા અને ઉમેદવાર ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચિત્તોડગઢમાં પાર્ટીની જાહેરસભાને સંબોધિત કરતા આ વાત કહી.

 

‘અમારો એક જ ચહેરો છે – કમળ’

પીએમ મોદીએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત રાજ્યના તમામ નેતાઓને સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનના અંતમાં કહ્યું કે, આ ચૂંટણીમાં અમારી પાસે એક જ ચહેરો છે અને તે ચહેરો છે કમળ. આ કમળને પ્રચંડ બહુમતીથી જીતાડવાનું છે. અને આ કમળના નેતૃત્વમાં અમે નક્કી કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, અમારી આશા કમળ છે, અમારો ઉમેદવાર કમળ છે. અમે કમળ ખીલવીશું, ભાજપને જીત અપાવીશું, આ લક્ષ્ય સાથે આપણે સૌએ એકતામાં આગળ વધવાનું છે.

સીપી જોષીની પ્રશંસા કરી હતી

પીએમ મોદીની સાથે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને અન્ય નેતાઓ મંચ પર હાજર હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કોઈ નેતાનું નામ લીધું ન હતું, જોકે તેમણે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીપી જોશી વિશે કહ્યું કે તેઓ મેવાડ અને રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા દરેક મુદ્દાને દિલ્હીમાં જોરશોરથી ઉઠાવે છે. આગામી ચૂંટણીમાં પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, રાજસ્થાને કોલ આપ્યો છે, અમે રાજસ્થાનને બચાવીશું, અમે ભાજપની સરકાર લાવીશું. જનસભા પહેલા મોદીએ સાંવલિયા શેઠ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી. તેઓ ખુલ્લી જીપમાં સભામાં પહોંચ્યા, જ્યાં લોકોએ જોરથી નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું.