સુરતમાં લક્ઝરી બસોની ‘નો એન્ટ્રી’, મુસાફરોને ભારે હાલાકી

સુરત શહેરમાં ખાનગી લકઝરી બસનો શહેરમાં પ્રવેશ ના કરવાનો મુદ્દો ગરમાયો છે, કારણ કે આ નિર્ણયને પગલે હજારોની સંખ્યામાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અલગ- અલગ વિસ્તારના મુસાફરોએ રિક્ષામાં ડબલ ભાડા આપી જવું પડી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, સુરત શહેરમાં આવતી તમામ ખાનગી લકઝરી બસ વાલક પાટિયા પાસે ઉભી રહી હતી. જેનો પગલે મુસાફરો અટવાયા હતા અને તેમને હાલાકીનો સામનો કરો પડ્યો હતો.

આજે વહેલી સવારથી તમામ બસોએ સુરત શહેરમાં પ્રવેશ કર્યો નથી, જેને પગલે સુરતીઓએ 12 કિમી દુર જવુ પડી રહ્યું છે. મહત્વનું છે કે દરરોજ સુરતમાં 500થી 600 લક્ઝરી બસો આવે છે. સુરત શહેરમાં આવતી તમામ ખાનગી લકઝરી બસ વાલક પાટિયા પાસે ઉભી રહી હતી. જેનો પગલો મુસાફરો અટવાયા હતા.

સુરતીઓએ 12 કિમી દુર જવુ પડી રહ્યુ છે

જો કે તમને જણાવી દઈએ કે, સુરતમાં ખાનગી બસ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ 21 ફેબ્રુઆરીથી સુરતથી ઉપડતી તમામ લકઝરી બસો સુરત બહાર થી ઉપડશે અને સવારે બહારથી આવતી તમામ બસો પણ શહેર બહાર જ ઉભી રહેશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારે અને રાત્રે થતા ટ્રાફિકને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત શહેરમાં દરરોજ 500 થી વધુ બસોની આવર-જવર થાય છે, જેમાં મોટાભાગે સૌરાષ્ટ્ર અને અમદાવાદની બસો હોય છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને થોડા દિવસ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ DCP ને પત્ર લખ્યો હતો. જેમાં કાનાણીએ લક્ઝરી બસના પ્રવેશને લઈને સવાલ કર્યા હતા. ત્યાર બાદ પોલીસતંત્ર ખાનગી બસોના પ્રવેશ પર કાર્યવાહી કરી હતી. ત્યારે આ બાબતને લઈને સુરતમાં લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન દ્વારા એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં 150થી વધુ ખાનગી બસના માલિકો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ખાનગી બસ ઓપરેટરો દ્વારા 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં તેઓ નિર્ણય કરવામાં આવ્યો હતો.