સીએએના વિરોધી હર્ષ મન્દરે એક સમયે કસાબની ફાંસી રોકવાની માંગ કરેલી

નવી દિલ્હી: હર્ષ મન્દરને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. તેનું કારણ છે તેમનું એ નિવેદન જેમાં તેમણે ન્યાયતંત્ર પર જ સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપના ત્રણ નેતાઓ વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપવા અને તેમના પર એફઆઈઆર નોંધાવવાની માંગ કરતા સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતાં. ભાજપના જે ત્રણ નેતાઓનો ઉલ્લેખ તેમણે કર્યો તેમાં કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્માનો સમાવેશ થાય છે. સુપ્રીમે આ મામલે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. હર્ષ મન્દરનો વિડિયો @JammuKashmirNow ટ્વિટર હેન્ડલ પર જોઈ શકાય છે જેમાં તે ન્યાયતંત્ર અને સીએએ વિરુદ્ધ નિવેદનો કરી રહ્યો છે. તેમણે 3 માર્ચે આ બંને વિડિયો પોસ્ટ કર્યા છે.

સુપ્રીમમાં કેન્દ્ર સરકાર તરફથી સોલીસીટર જનરલ તુષાર મેહતાએ કોર્ટમાં જણાવ્યું કે, મન્દર જામિયામાં થયેલા ધરણા પ્રદર્શનમાં ભાગ લીધો અને ત્યાં વિવાદિત નિવેદનો પણ આપ્યા હતા. મહત્વનું છે કે, હર્ષ મન્દર સીએએની વિરોધમાં છે અને ગયા વર્ષે 19 ડિસેમ્બરે તેમની આઈટીઓ પર થયેલા પ્રદર્શનમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, મન્દરએ ન્યાયપાલિકા વિરુદ્ધ પણ વિવાદિત નિવેદનો આપ્યા છે. આ નિવેદનોની એક ટ્રાન્સક્રિપ્ટ કોપી પણ કેન્દ્ર તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, મન્દર પર લાગેલા આરોપો ઘણા ગંભીર છે એને તેના વકિલ પાસે કોર્ટે જવાબ માગ્યો છે. આ ઉપરાંત કોર્ટે ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવનાર દરેક વ્યક્તિની જાણકારી કેન્દ્ર પાસેથી માંગી છે.

મહત્વનું છે કે, હર્ષ મન્દર એક પૂર્વ આઈએએસ અધિકારી છે અને તે એક્શન એડ ના નામથી એક એનજીઓ પણ ચલાવે છે. મન્દર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નજીકનું હોવાનું પણ કહેવામાં આવે છે. મનમોહન સિંહના કાર્યકાળમાં તે રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેને યુપીએ સરકાર દરમ્યાન લાગુ કરવામાં આવેલા કોમ્યુનલ વાયલન્સ બિલના ચીફ આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. મન્દરની ઓળખ અહીં પૂર્ણ નથી થતી, 2008માં મુંબઈ હુમલાનો આરોપી અજમલ કસાબ અને 1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટનો દોષિત યાકુબ મેમણની ફાંસી રોકવાની માંગ પણ આ મન્દરે જ કરી હતી.