દિલ્હીમાં થયેલા તોફાનો મામલે શિવસેનાના કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં હિંસાને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યારસુધીમાં કુલ 39 જેટલા લોકોએ હિંસામાં પોતાના જીવ ગુમાવ્યા છે અને 200 થી વધારે લોકો ઘાયલ થયા છે. સ્થિતિ પહેલાથી સારી છે પરંતુ તણાવનો માહોલ હજી પણ યથાવત છે. ક્રાઈમબ્રાંચની બે ટીમો મળીને હિંસા મામલે તપાસ કરશે.

એક ટીમની જવાબદારી ડીસીપી જોય તિર્કી અને બીજી ટીમની જવાબદારી ડીસીપી રાજેશ યાદવને આપવામાં આવી છે. અત્યારસુધીમાં 48 એફઆઈઆર નોંધાઈ છે, એક હજાર સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે. પોલીસે અત્યારસુધી 514 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. તો ગૃહમંત્રાલયે આજે દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 માં 10 કલાકની છૂટ આપવાની વાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, તેઓ અફવાઓ પર ભરોસો ન કરે.

શિવસેના કહેલી 7 મોટી વાતો...

  1. જ્યારે દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે ગૃહમંત્રી ક્યાં હતા? તોફાનો સમયે અડધું મંત્રિમંડળ અમદાવાદમાં હતું.
  2. રાષ્ટ્રપતિ ટ્રમ્પને નમસ્તે-નમસ્તે સાહેબ કરી રહ્યા હતા. 3 દિવસ બાદ વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવી રાખવા આહ્વાન કર્યું
  3. 4 દિવસ બાદ NSA અજીત ડોભાલ લોકો વચ્ચે ગયા, આનાથી શું થશે? નુકસાન તો પહેલા જ થઈ ચૂક્યું છે.
  4. દેશને મજબૂત ગૃહમંત્રી મળ્યા છે પરંતુ તેઓ દેખાયા નહી. વિપક્ષ સવાલ ઉઠાવશે તો શું તેમને દેશદ્રોહી ગણાવાશે?
  5. 24 કલાકમાં જસ્ટિસ મુરલીધરની બદલીનો આદેશ આપવામાં આવ્યો. સરકારે કોર્ટ દ્વારા વ્યક્ત સત્યને મારી નાંખ્યું
  6. શાહીનબાગનો મામલો પણ સરકાર પૂરો ન કરી શકી.
  7. અર્થવ્યવસ્થા ધરાશાયી પરંતુ ભડકાઉ ભાષણોનું બજાર ગરમ