સાતમો દીપોત્સવઃ 24 લાખ દીવાઓથી ઝગમગશે શ્રીરામનગરી

અયોધ્યાઃ અયોધ્યામાં આ વખતે દીપોત્સવ પર 51 ઘાટો પર રેકોર્ડ 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ નદીના તટ પર રામ કી પૈડીમાં આ દીપોત્સવ સાતમી વાર આયોજિત થઈ રહ્યો છે. સરયૂ નદી વિશ્વના એકમાત્ર સૌથી મોટા દીપ અને આસ્થાનું પ્રતીકનું સાક્ષી બનશે. દીપકોની વધતી સંખ્યા ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સ બનતા જઈ રહ્યા છે. ગિનીઝ બુકની ટીમ અયોધ્યાના સરયૂ તટ પર બધા 51 ઘાટો પર જઈને દીવાઓની ગણતરી કરશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાંજે સાત કલાકે દીપોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરશે.

આ દીપોત્સવ કાર્યક્રમમાં 41 દેશના એમ્બેસેડર પણ હાજર રહેશે. અયોધ્યાના જિલ્લાધિકારી નીતીશકુમારે જણાવ્યું હતું કે 41 દેશના આશરે 61 VVIP આ દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે.  અયોધ્યામાં સાતમા દીપોત્સવ અવધ યુનિવર્સિટીના 25,000 સ્વયંસેવકો 24 લાખ દીવા પ્રજ્વલિત કરીને એક નવો ઇતિહાસ રચશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભગવાન શ્રીરામનું રાજતિલક કરશે.

સરયુના કિનારે લેસર શો દ્વારા શ્રી રામના જીવનની ઝલક રજૂ કરવામાં આવશે. દીપોત્સવમાં રશિયા, શ્રીલંકા, સિંગાપોર અને નેપાળના કલાકારો રામલીલાનું મંચન કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર અયોધ્યામાં ત્રેતાયુગ જોવા મળશે. ઋષિ-મુનિઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક રામ ભક્ત રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવવાનો છે. તેથી આ વખતે અયોધ્યામાં ભવ્ય દિવાળી ઊજવવામાં આવશે.

આ કાર્યક્રમનું આયોજન આશરે 25,000 સ્વયંસેવકોની મદદથી 12 સરકારી વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રના સામૂહિક પ્રયાસોથી થશે. આ ઉત્તર પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની તક હશે. ત્યાર બાદ વિવિધ પ્રકારે આ સમારંભ આયોજિત કરવામાં આવશે અને એ બધું દેશની સૌથી મોટી ડિજિટલ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે. આ વાર્ષિક આયોજન છેલ્લાં છ વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. પાછલા વર્ષે અયોધ્યાના ઘાટો પર 15 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.