પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ ભારત પ્રવાસ પર આવેલા પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો ડી સોસા અને વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા કરી હતી. પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા અને વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે ઘણી સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસા ભારતના ચાર દિવસના પ્રવાસ પર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોર્ટુગલના રાષ્ટ્રપતિએ આજે વાતચીત કરી હતી. ચાર દિવસની ભારત યાત્રા પર આવેલા પોર્ટુગલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી વચ્ચે વ્યાપાર અને ઈન્વેસ્ટમેન્ટ સહિત ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ કઈ રીતે બનાવી શકાય તે મુદ્દે વાત થઈ. પોર્ટુગલના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત યાત્રા છે.

પોર્ટુગલના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપી. તેઓ 16 ફેબ્રુઆરી સુધીની ભારતની રાજકીય યાત્રા પર છે.

આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોર્ટુગલના રાષ્ટ્રપતિને મળશે. તેમના સન્માનમાં આજે સાંજે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવશે. પોર્ટુગલના રાષ્ટ્રપતિ પોતાની ભારત યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવા પણ જશે.