અંતરિક્ષમાં ભારતની હનુમાન છલાંગ: સફળ રહ્યું ‘ચંદ્રયાન-3’નું લોન્ચિંગ

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ): ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રમાં આજે ઈતિહાસ સર્જી દીધો છે. દેશની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’એ શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી નિર્ધાર્યા મુજબ આજે બપોરે બરાબર 2.35 વાગ્યે ‘ચંદ્રયાન-3’ મિશનને સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કર્યું છે.
આ સિદ્ધિ બદલ ‘ઈસરો’નાં સ્પેસ વિજ્ઞાનીઓ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

LVM3 રોકેટ ‘ચંદ્રયાન-3’ને લઈને સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી અવકાશભણી સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું છે.

અવકાશયાનને ભ્રમણકક્ષામાં મૂકી દીધા બાદ ચંદ્રયાન-3 23મી ઓગસ્ટે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. ચંદ્રના આ ભાગ પર હજી સુધી કોઈ દેશનું યાન ઉતરી શક્યું નથી.

ચંદ્રયાન-3 ઉતરાણ કર્યા બાદ ચંદ્ર ગ્રહની ધરતી તેમજ ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે અને તેની વિગતો, તસવીરો ઈસરોના વિજ્ઞાનીઓને મોકલશે.

‘ઈસરો’ સંસ્થાએ ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરને એ જ નામ આપ્યા છે જે ચંદ્રયાન-2 મિશન વખતે આપ્યા હતા. લેન્ડરનું નામ ‘વિક્રમ’ છે અને રોવરનું નામ ‘પ્રજ્ઞાન’ છે. 2019ના જુલાઈમાં ભારતનું ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ ગયું હતું. પરંતુ એ જ વખતે ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી હતી.