ત્રણ મહિનાની રાહત છે, પણ વ્યાજ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે વેપારીઓ અને નાગરિકોને લોન ચૂકવવામાં રાહત આપવા માટે રિઝર્વ બેન્કે બેન્કોને ત્રણ મહિના માટે EMI નહીં વસૂલવાનો આગ્રહ કર્યો હતો. સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી સહિત અનેક બેન્કોએ બધા પ્રકારની લોનોના હપતા ત્રણ મહિના સુધી અટકાવવા માટે જરૂરી નિર્દેશ આપવાનું શરૂ કર્યું છે અને તેમના ગ્રાહકોને એક માર્ચથી 31 મે સુધી લોનના હપતા વસૂલવામાં રાહત આપવાનું શરૂ કર્યું છે. પણ આ ત્રણ EMI ટાળવાથી લોનધારકને ખાસ કોઈ લાભ નહીં થાય.

 

રૂ. 30 લાખની હોમ લોન પર 2.34 લાખ વધારાનું વ્યાજ

જોકોઈ ગ્રાહકની હોમ લોન રૂ. 30 લાખ છે અને એને પરત કરવાનો સમયગાળો રૂ. 15 વર્ષ બાકી છે. તો ત્રણ મહિના માટે એને પાછળ ઠેલવાથી એ લોન પર રૂ. 2.34 લાખનું વધારાનું વ્યાજ લાગશે. આ વ્યાજ આઠ EMIના બરાબર હશે.

રૂ. છ લાખની વાહન લોન પર રૂ. 19,000નું વધારાનું વ્યાજ

આ જ પ્રકારે જો ગ્રાહકે રૂ. છ લાખની વાહન લોન લીધેલી છે અને એને પરત કરવા માટે 54 મહિનાનો સમય બાકી છે, જો આ પાછળ ઠેલવાનો વિકલ્પ અપનાવવામાં આવે છે તો તેને રૂ. 19,000નું વધારાનું વ્યાજ આપવું પડશે. જે દોઢ વધારાના EMI બરાબર હશે.

લોનનો સમયગાળો વધશે અને વ્યાજની પણ વસૂલાત

જોકોઈ ગ્રાહક લોનનો સમયગાળો ત્રણ મહિના માટે વધારશે તો આ ત્રણ મહિના માટે લાગનારું વ્યાજ પણ વસૂલવામાં આવશે. આગળના EMIની સાથે વ્યાજને જોડવામાં આવશે. વળી જૂના EMIને ટાળી પણ નહીં શકાય અને ચુકવણી ના કરવા પર પેનલ્ટી પણ  લાગશે.

ક્રેડિટ સ્કોર પર અસર નહીં

જો તમે હાલ ત્રણ મહિના સુધી હપતા નથી ભરતા, તેમ છતાં તમારા ક્રેડિટ સ્કોર પર એની નકારાત્મક અસર નહીં પડે.

IBAએ પણ સજાગ કર્યા

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA)એ વારંવાર પૂછવામાં આવતાં સવાલ કે લોનધારકોને ફરક પડશે કે નહીંના જવાબમાં IBAએ જણાવ્યું હતું કે લોનધારકોની આવકમાં ફરક ના પડ્યો હોય તો તેમણે EMIની સમયસર ચુકવણી કરવી જોઈએ. તમારે એ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે જો તમે EMI ટાળશો તો તમારી લોનની રકકમનું વ્યાજ સતત વધતું રહેશે, જેને હમણાં નહીં તો પછીથી તમારે ચૂકવવું જ પડશે.