રામભક્તો રામમંદિર બાંધકામ કાર્ય થતું જોઈ શકશે

અયોધ્યાઃ રામલલ્લાના ભક્તો માટે સારા સમાચાર છે. શ્રદ્ધાળુઓ રામ જન્મભૂમિ મંદિરનું બાંધકામ કાર્ય પોતાની આંખોથી નિહાળી શકશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાંના દર્શન માટે વ્યૂ પોઇન્ટ બનાવી રહી છે, જેથી અયોધ્યા આવનારા રામભક્તો રામલલ્લાનાં દર્શનને માર્ગે એક વ્યુ પોઇન્ટ બનાવવામાં આવી રહ્યો છે. જેથી શ્રદ્ધાળુઓ ખુલ્લી આંખે મંદિરનું બાંધકામ થતું જોઈ શકશે.

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ કરવાનું 60 ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે. રામ મંદિરના પાયાનું કામ સપ્ટેમ્બર સુધી પૂરું કરી લેવાનું લક્ષ્ય છે, એમ મંદિરના ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ કહ્યું હતું. હવે 24 લેયર્સનું કામ પૂરું થઈ ચૂક્યું છે. બધા 44 લેયર્સનું કામ સપ્ટેમ્બર સુધીમાં પૂરું કરી લેવામાં આવશે.

પાંચ ઓગસ્ટે રામ જન્મભૂમિમાં રામ મંદિરના ભૂમિ પૂજનને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. જેથી રામલલ્લા પ્રાંગણમાં સંતો અને રામભક્તો એકઠા થવાની સંભાવના છે. આ પ્રસંગે સંતોને રામ મંદિરનું બાંધકામ કાર્ય કેટલે પહોંચ્યું એ બતાવવા માટે ટ્રસ્ટ દ્વારા વ્યુ પોઇન્ટથી એ કાર્ય બતાવાની સંભાવના છે.

2023માં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની સ્થાપના કરવામાં આવશે. 2025 સુધી 70 એકરમાં રામ મંદિરનું વિઝન પૂરું થશે. રામ મંદિરના બાંધકામમાં ત્રણ અલગ-અલગ પ્રકારનાં પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે, જેમા બેઝ પ્લિન્થ, શિખર સહિત મંદિરની દીવાલોમાં અલગ-અલગ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે, એમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સચિવ ચંપત રાયે જણાવ્યું હતું.