બ્રિટિશરો સુભાષચંદ્ર બોઝથી ડરતા હતાઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશ આઝાદીની લડતના આગેવાનોમાંના એક અને દેશના બંધારણના ઘડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 126મી જન્મતિથિ ઉજવી રહ્યો છે ત્યારે કેન્દ્રના સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે બ્રિટિશરો નેતાજી સુભાષચંદ્ર બોઝથી ડરતા હતા. સુભાષબાબુએ આઝાદીની લડાઈમાં સામેલ થવા માટે ઈન્ડિયન સિવિલ સર્વિસ (ICS) છોડી દીધી હતી. બાદમાં જ્યારે આપણો દેશ આઝાદ થયો તે પછી ICS બની IAS – ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. નેતાજીએ દેશની આઝાદીની લડતમાં પોતાને સમર્પિત કરવા માટે ICS છોડી દીધી હતી. બ્રિટિશરો સામે તેઓ એકલા જ લડ્યા હતા. બ્રિટિશરોએ કહ્યું હતું કે તેઓ મહાત્મા ગાંધીથી ડરતા નથી. તેઓ સુભાષચંદ્ર બોઝથી ડરતા હતા. બંગાળની ધરતી પર અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા એટલે બ્રિટિશરોને દિલ્હી જવું પડ્યું હતું, એમ ઠાકુરે યુવોત્સવ-2023 કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું છે.

ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જન્મતિથિ છે. 1897ની 23 જાન્યુઆરીએ જન્મેલા સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. એમના મૃત્યુ વિશે વિવાદ સર્જાયો છે, પરંતુ ભારત સરકારે 2017માં એક RTI અરજીના જવાબમાં કહ્યું હતું કે 1945ની 18 ઓગસ્ટે એક વિમાન દુર્ઘટનામાં સુભાષબાબુનું નિધન થયું હતું.