અશોક ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષપદના ઉમેદવારોની તમામ અટકળોની વચ્ચે રેસમાં સામેલ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે પુષ્ટિ કરી હતી કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી નહીં લડે, પણ તેઓ ચૂંટણી લડશે. તેમણે કહ્યું હતું કે દેશની હાલની સ્થિતિને જોતાં એ જરૂરી છે કે વિપક્ષ મજબૂત થાય. રાહુલ ગાંધી તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગાંધી પરિવારમાંથી કોઈએ પાર્ટી અધ્યક્ષ નહીં બનવું જોઈએ.ગહેલોતે કેરળમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.

તેમણે કહ્યું હતું હતું કે મેં તેમને કેટલીય વાર વિનંતી કરી હતી કે તેઓ બધાની ઇચ્છાનો સ્વીકાર કરે અને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બની જાય, પણ તેમણે નક્કી કર્યું હતું કે ગાંધી પરિવારમાંથી કોઈ પાર્ટીપ્રમુખ નહીં બને. તેમણે કહ્યું હતું કે રાહુલજીએ મને કહ્યું હતું કે હું પાર્ટીપ્રમુખ બનું અને હું તેમની ઇચ્છાઓનું સન્માન કરું છું, પણ મેં એક કારણે નિર્ણય કર્યો છે કે એક બિનગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બનવું જોઈએ.

કોંગ્રેસ અધ્યક્ષપદ માટે અશોક ગહેલોતને ગાંધી પરિવારના પહેલી પસંદગી છે. જોકે ગહેલોત હાલ રાજસ્થાનના મુખ્ય પ્રધાન છે, જેને છોડવા માટે તેઓ તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે તેઓ બંને જવાબદારીઓ સંભાળી શકવા સક્ષમ છે, પણ ગુરુવારે રાહુલના નિવેદન પછી તેમનું સપનું તૂટતું નજરે પડી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલા એક વ્યક્તિ એક પદના નિયમ પર કહ્યું હતું કે એ કોંગ્રેસ પાર્ટીની એક પ્રતિબદ્ધતા છે. સતત ચૂંટણીમાં થયેલી હાર પછી તેમના નેતૃત્વમાં ઊભા થયેલા સવાલોની વચ્ચે ગાંધી પરિવારે ટોચના પદથી પોતાને દૂર કરી લીધા હતા.

ગહેલોત સોમવારે નામાંકન દાખલ કરે એવી શક્યતા છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અધ્યક્ષપદ માટે પોતાના ઇરાદા જાહેર કરનારી પહેલી વ્યક્તિ હતા.