અડધી રાત સુધી ચાલી ગહેલોતની બેઠકમાં શું થયું?

જયપુરઃ રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાઇલટને રાહત મળ્યા બાદ અશોક ગેહલોત જૂથમાં હલચલ તેજ થઇ ગઈ હતી. રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે સીએમ અશોક ગહેલોત વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની જીદ કરી રહ્યા છે. હાઈકોર્ટમાં પાયલટ જૂથના ધારાસભ્યોને રાહત મળતા અશોક ગહેલોત ગવર્નરને મળવા પહોંચ્યા હતા. અને વિધાનસભાનું સત્ર બોલાવવાની માગ કરી હતી. જોકે, રાજયપાલ કલરાજ મિશ્રએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી વિધાનસભાનું સત્ર બોલાવવાની મનાઈ કરી હતી. જેથી અશોક ગહેલોત ધારાસભ્યો સાથે ધરણા પર બેસી ગયા હતા. તો મોડી રાત્રે અશોક ગહેલોતે મોડી રાત્રે કેબિનેટ બેઠક પણ બોલાવી હતી. જે આશરે બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. રાજકીય ઘટના ક્રમ વચ્ચે રાજયપાલે સીએમ ગહેલોતને પત્ર લખ્યો છે. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, સીએમ અને તેમનું ગૃહ વિભાગ રાજયપાલની સુરક્ષા કરી શકતુ નથી. મે આજ સુધી આવા સીએમ જોયા નથી.

મુખ્યમંત્રી અશોક ગેહલોત તરફથી વિધાનસભા સત્ર બોલાવવાની માંગ કરતા અપીલ કરવામાં આવી હતી તો રાજયપાલ કલરાજ મિશ્રએ કોરોના સંકટનો હવાલો આપી વિધાનસભા સત્ર બોલાવવા ઇન્કાર કર્યો હતો. આ દરમ્યાન અશોક ગેહલોત પોતાના સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચી ગયા. તેની પહેલા હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં વિધાનસભા સ્પીકરની નોટિસ પર સ્ટે મૂકયો હતો એટલે કે પાયલટ કેંપને હજુ અયોગ્ય ન ઠેરવી શકાય.

રાજભવન પહોંચેલા ધારાસભ્યો ધરણા પર બેસી ગયા હતા અને નારે બાજી કરવા લાગ્યા હતા. તો બીજી તરફ રાજભવનની અંદર રાજયપાલ અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. આ દરમ્યાન ધારાસભ્યો ન્યાયની માંગ સાથે ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા હતા.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે બપોરે રાજયપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી. અને વિધાનસભાનું સત્ર બોલાવવા માંગ કરી હતી.રાજસ્થાનમાં મંત્રીએ જણાવ્યું કે કેબિનેટે સત્ર બોલાવવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે તો રાજયપાલે વિધાનસભા સત્ર બોલાવવું જ જોઈએ, તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર લોકશાહીની હત્યા કરવાના પ્રયાસો કરી રહી છે.

ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સચિન પાઇલટ જૂથના કેસમાં બંધારણીય જોગવાઇનો મુદ્દો મહત્ત્વનો બનતો હોવાથી આ કેસમાં કેન્દ્ર સરકારને પણ એક પક્ષ તરીકે ગણવી જોઇએ. પૃથ્વીરાજ મીણા સચિન પાઇલટ જૂથના ટેકેદાર હોવાનું મનાય છે.