દેશના સૌથી મોટા મુંબઈ એરપોર્ટનું સુકાન અદાણીના હાથોમાં

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે એવિયેશન સેક્ટર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે અદાણી ગ્રુપે ઔપચારિક રીતે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન જીવીકે ગ્રુપ પાસેથી ટેકઓવર પૂરું કર્યું છે. ખુદ ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને એની માહિતી આપી છે. અદાણી ગ્રુપ છેલ્લા કેટલાંક વર્ષોમાં એવિયેશન ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે અને મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટનું ટેકઓવર આ દિશામાં મોટું પગલું છે. મુંબઈ એરપોર્ટનો વહીવટ હસ્તગત કરવાની સાથે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ હવે દેશમાં એર કાર્ગો ટ્રાફિક પર 33 ટકા નિયંત્રણ ધરાવે છે.  

અદાણી ગ્રુપનો મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો હશે. જોકે પર્ચેઝ ટ્રાન્ઝેક્શન પછી જીવીકે ગ્રુપ સાથે 50.5 ટકા હિસ્સો ખરીદાશે અને દક્ષિણ આફ્રિકાની એરપોર્ટની કંપની અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી 23.5 ટકા હિસ્સો ખરીદાશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સબસિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.નું માનવું છે કે રોગચાળા પછી ભારતમાં હવાઈ યાત્રામાં તેજી આવશે. વળી, IATA (ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને)એ પણ અંદાજ માંડ્યો છે કે 2022 સુધી ગ્લોબલ પેસેન્જરોનો ટ્રાફિક કોરોના પહેલાં સમય સુધી 88 ટકા આવી જશે અને 2023માં એમાં ઓર વધારો થશે.

ગોતમ અદાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટનું ટેકઓવર કરવાનો અમને આનંદ છે. મુંબઈને ગૌરવને અનુભવ કરાવવાનું અમારું વચન છે. અદાણી ગ્રુપ બિઝનેસ, લક્ઝરી અને મનોરંજન માટે ભવિષ્યનું એરપોર્ટ ઇકોસિસ્ટમ ઊભું કરશે. અમે હજારો સ્થાનિક લોકોને નોકરીઓ આપીશું.

દેશનાં મુખ્ય એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી હાથોમાં સોંપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં બિડિંગ મગાવ્યું હતું. ત્યારથી અદાણી ગ્રુપ પાસે છ એરપોર્ટ પહેલાંથી છે.