સરકારનું અમરનાથ યાત્રા અંગે ‘અભી બોલા, અભી ફોક’

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં 2020માં યોજાનારી અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ જમ્મુ અને કાશ્મીર સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો લીધો છે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ જનરલ (એલજી) અને અમરનાથ શ્રાઇન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદ્ર મુર્મુ વર્ષ 2020 માટે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો હતો. અમરનાથ યાત્રાના રસ્તામાં જ્યાંથી શ્રદ્ધાળુઓ પસાર થાય છે એ રસ્તામાં  77 કોરોના રેડ ઝોન આવે છે, જેને કારણે લંગરોની સ્થાપના, મેડિકલ સુવિધાઓ, કેમ્પ લગાવવા, માલસામાનની આવ-જા અને રસ્તા પરથી બરફને દૂક કરવું સંભવ ના હોવાથી સરકારે આ યાત્રા રદ કરી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે.  

અમરનાથ યાત્રા  23 જૂનથી શરૂ થશે?

અમરનાથ શ્રાઇન બોર્ડે આ વર્ષની અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થવાની હતી. આ પહેલી વાર છે જેમાં અમરનાથ યાત્રા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હાલ દેશમાં કોરોના વાઇરસને પગલે ચાલી રહેલા લોકડાઉનને લીધે અમરનાથ યાત્રા માટે જે કેમ્પો બનાવવામાં આવે છે એ હાલ ક્વોરોન્ટાઇન સેન્ટર બનેલા છે. વળી જમ્મુ-કાશ્મીરની સરહદ પણ સીલ હોવાથી વાહન-વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી બોર્ડે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ એને ગણતરીના કલાકોમાં પાછો લેવામાં આવ્યો છે.